રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત હાલે કચ્છમાં ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને આર્થિક સહાય આપવાના અર્થે યોજાતા ગરીબ કલ્યાણ મેળામાં નખત્રાણા તા.માં યોજાયેલા કાર્યક્રમ અન્વયે ૬પ૭૦ લાભાર્થીને ૧ર.૪૧ કરોડની સહાય રાજ્યકક્ષાના મંત્રીઓ દ્વારા અપાઇ હતી.
આ પ્રસંગે મંત્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, દરેક તાલુમાંથી ગરીબીને નેસ્ત નાબૂદ કરવાની સરકારની નેમ છે. તથા ગરીબ પરિવારના ઘરમાં આર્થિક અજવાળું કરવું એ મોટો માનવધર્મ છે.કચ્છી મંત્રી વાસણભાઇ આહિર ગરીબોને ગરીબીની રેખામાંથી બહાર કાઢવા અનેક કલ્યાણકારી યોજનાઓની સવલતો અને આજે પગભર થયેલા લાભાર્થીઓની કથની રજૂ કરી ગરીબ પરિવારોને લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.
અબડાસાના ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાલીએ કોંગ્રેસના ધારાસભ્ય બાબુભાઇ શાહ ઉપર રાજકીય પ્રહારો કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે બાબુભાઇ શાહ કાકિંડાની જેમ કલર બદલે છે. તેઓ રાજકારણને તીનપત્તીના જુગારની જેમ ગરીબો સાથે રમે છે. શરૂઆતમાં નખત્રાણામાં પ્રાત અધિકારી ડી.ડી.જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
નેત્રાના બીનાબેન દવે અને વિથોણના રેખાબેન ગરવાએ રાજ્ય સરકાર તરફથી મળેલી આર્થિક સહાય દ્વારા પગભર થયાનું જણાવ્યું હતું, બન્ને મંત્રીઓએ નખત્રાણા તાલુકાની વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિગત ધોરણો મુખ્યમંત્રીની કન્યા કેળવણી નિધિમાં ૮૬૦૦૦ના ચેકનો સ્વીકાર કર્યો હતો.