-કચ્છમાં આદિવાસી છોકરીઓને વેચી નાખવાનો પર્દાફાશ
-પશ્ચિમ બંગાળથી કચ્છ સુધીનું કનેકશન, છ શખ્સ સામે ગુનો નોંધાયો
આદિવાસી છોકરીઓને માતબર રકમથી વેચી નાખવાનો ગંભીર કેસ મંગળવારે સત્તાવાર રીતે પ્રકાશમાં આવતાં ચકચાર વ્યાપી છે. આ ચોંકાવનારા પ્રકરણમાં છ જેટલા આરોપીમાં ભચાઉ તાલુકાના લાખાવટ ગામના દંપતીની ભૂંડી ભૂમિકા સામે આવતાં કચ્છમાં પણ ખળભળાટ ફેલાયો છે.
ઝારખંડ રાજ્યના ગિરિડીહ જિલ્લાના મુફિસ્સલ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સપેક્ટર આબિદ ખાને જણાવ્યું કે, મુફિસ્સલ નજીક આવેલા જંગલ વિસ્તારમાં વસતી તરુણ વયની બે છોકરીને નવેમ્બર માસમાં દિલ્હીમાં કામ આપવાના બહાને પશ્ચિમ બંગાળની અસ્માબીબી અને નેતાજી નામનો શખ્સ તેમને કોલકતા લઇ ગયા હતા. ત્યાંથી દિલ્હી લઇ જવાનું કહીને બેયને ભુજ લાવવામાં આવી હતી. જ્યાંથી બન્ને તરુણીએ નાસીને ભચાઉ પોલીસ સ્ટેશનમાં મદદ માંગી હતી. એ સમયે લાખાવટ ગામના કરસન હરિ પ્રજાપતિ અને તેની પત્ની અનીતા પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતાં અને તેઓ આ બેય છોકરીને ઓળખે છે એવું કહીને બન્નેને ત્યાંથી લઈ ગયા હતા. ત્યાર બાદ આ દંપતીએ R ૬૦-૬૦ હજારમાં આ છોકરીઓનો સોદો એક પાર્ટી સાથે કર્યો હતો.
વાતચીત પરથી એનો ખ્યાલ આવી જતા તરુણીઓ ફરી ત્યાંથી નાસીને ભચાઉ પોલીસ પાસે ગઈ હતી અને મદદ માટે કરગરી હતી. પણ પોલીસે તેમની કોઇ ફરિયાદ નોંધી નહોતી. ત્યાં જ આ છોકરીઓએ પિતા સાથે ફોન પર વાત કરી હતી. પણ ગરીબ બાપ પૈસાના અભાવે દીકરીને લાવી શકે એમ નહોતો. છેવટે તેણે મુફિસ્સલ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ત્યાંથી બન્ને છોકરીઓને સમજાવાયું કે તમે ગમે તેમ કરીને કચ્છથી નાસીને વતનમાં પરત આવો. છેવટે તેઓ વતનમાં પહોંચી હતી અને તેમની ફરિયાદ પરથી કુલ છ વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
ભચાઉ પોલીસે તરુણીઓની પૂરી મદદ કરી હતી:
સીપીઆઇ આ વિશે સર્કલ પોલીસ ઇન્સપેક્ટર ડી. એલ. ઝાલાએ જણાવ્યું કે, બન્ને આદિવાસી તરુણી જ્યારે ભચાઉ પોલીસ સ્ટેશનમાં આવી હતી ત્યારે અહીં તેની પૂરી મદદ કરવામાં આવી હતી. ઝારખંડ પોલીસ ગુમનોંધના આધારે અહીં તપાસમાં આવી હતી ત્યાં સુધી બેયને કાળજીપૂર્વક સાચવવામાં આવી હતી, તેમણે કોઇ ફરિયાદ નોંધાવી નહોતી એટલે ફરિયાદ નોંધ્યાનો ઇનકાર કરાયાનો કોઈ સવાલ જ નથી.