‘મનમોહનસિંહ દિલ્હીની ગાદી છોડો’ ચિદમ્બરમને બચાવવા કોંગ્રેસમાં મચી દોડધામ સુપ્રીમમાં ટુજીના ફેંસલા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ માંડવીના ક્રાંતિતિર્થ ખાતે સદ્દભાવના મિશનમાં ફેંકયો પડકાર: ટેલિકોમ કૌભાંડમાં મૌન તોડ્યું
કેન્દ્ર સરકારના ટુજી કૌભાંડમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ૨૦૦૮માં મંજૂર કરાયેલા ૧૨૨ જેટલા લાઇસન્સ રદ કરવાના ચુકાદા બાદ આજે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન મનમોહનસિંહને દિલ્હીની ગાદી છોડવા સ્પષ્ટપણે પડકાર ફેંક્યો હતો. ટુજી કૌભાંડમાં તેમણે અત્યાર સુધી સેવેલું મૌન તોડ્યું હતું અને કેન્દ્ર સરકાર શાસન મૂકવા ઉપરાંત કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમ્ સામે પગલાં લેવા માટે કોંગ્રેસમાં દોડધામ મચી ગઇ હોવાના આરોપો માંડવી નજીક યોજાયેલા સદ્દભાવના મિશનમાં કર્યા હતા. તેમણે કોંગ્રેસ પર ચાબખા મારવાની એક પણ તક ચૂકી ન હતી.
કચ્છના દરિયાઇ શહેર માંડવી પાસે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિતીર્થ(ઇન્ડિયા હાઉસ) ખાતે યોજાયેલા કચ્છના બીજા સદ્દભાવના મિશન અંતર્ગત અંદાજે ૨૫ હજાર લોકોને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે પોતાની તીખી વાણીમાં કહ્યું હતું કે, આજે સુપ્રીમ કોર્ટે ટુજી કૌભાંડને લગતો ચુકાદો આપ્યો છે, જેમાં પી. ચિદમ્બરમ સામે કાર્યવાહી કરવા ઉપરાંત તમામ લાઇસન્સ રદ્ કરવાનો આદેશ છે. રૂપિયા ૧.૭૬ હજાર કરોડના આ કૌભાંડના મુખ્યમંત્રી તરીકે એક પણ વખત કોઇ આક્ષેપ કે નિવદેન કર્યાં નથી, પણ આજે ચુકાદા બાદ ક્રાંતિતીર્થની વીરભૂમિ પરથી વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહને ગાદી છોડવા હાકલ કરું છું. તેમને હવે દિલ્હીની સત્તા સંભાળવાનો અધિકાર નથી. ન્યાયપાલિકાએ ન્યાય આપ્યો છે. હવે દેશવાસીઓ સહન નહીં કરે. પ્રધાનમંત્રીએ એક મિનિટ પણ સત્તા પર રહેવું જોઇએ નહીં.
તેમણે તત્કાલીન નાણાં અને હાલના ગૃહમંત્રી પી.ચિદમ્બરમને અડફેટે લીધા હતા. કોર્ટે કાર્યવાહી માટેના નિર્દેશ આપ્યા હોવાથી આખો કોંગ્રેસ પક્ષ તેમને બચાવવા મચી પડયો છે. ખરેખર તો ચિદમ્બરમને નહીં, પણ કોણે પૈસા પહોંચાડયા છે અને કોણે લીધા છે તેવા લોકો પાધરા પડી જાય તેમને બચાવવાના પ્રયાસ શરૂ થયા છે તેમ મોદીએ આક્ષેપ કર્યા હતા.
ટુજીની સાથે મોંઘવારીનો ઇસ્યુ પણ મુખ્યમંત્રીએ ઉખેડયો હતો અને જણાવ્યું હતું કે, સત્તાના ૧૦૦ દિવસમાં મોંઘવારી દૂર કરાશે એમ કેન્દ્ર સરકાર દ્વારા વચન અપાયું હતું, પણ એમ ન થતાં હવે દેશ જવાબ માગી રહ્યો છે કે, મોંઘવારી માટે કેન્દ્ર સરકાર ચૂપ કેમ છે. યુનિયન ગવર્મેન્ટના આવા રાજથી ગુજરાતની પ્રજા ચેતી ગઇ છે. અહીંના દીર્ઘર્દષ્ટા ગુજરાતીઓ કોંગ્રેસને સત્તા માટે પેસવા પણ દેતા નથી. રાજ્યનો વિકાસ જોઇને કોંગ્રેસ ગાળો ભાંડે છે અને મન હળવું કરે છે તેને હું મારી સદ્દભાવના સમજું છું. કારણ કે, વિકાસકામોનું ચિત્ર કેમ ઊભું થાય એ કોંગ્રેસને ખબર નથી. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં રાજધાનીથી ગયેલા નેતાએ અમે શું ભલું કર્યું છે અને શું ભલું કરવાના છીએ એમ કહીને મત માગી શક્યા નથી એવા આકરા પ્રહારો પણ કોંગ્રેસ સરકાર પર કર્યા હતા.
કોંગ્રેસ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય છે
રાજ્યના વિપક્ષ તરીકે કોંગ્રસની સ્થિતિ પાણી વિના તરફડતી માછલી જેવી છે. કોંગ્રેસ હવે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય છે. ગુજરાતનું શાંત વાતાવરણ ડહોળવા જુઠ્ઠાણા ચલાવે છે. કોંગ્રેસે ભાગલા કરો ને રાજ કરોની નીતિ વખતે રાજકારણ રક્તરંજિત બનતું હતું. હવે ભાજપે સૌનો સાથ સૌનો વિકાસ આદરવાનું અભિયાન આદર્યું છે. તેમણે વોટ બેંકના પોલિટિકસને છોડવા કહ્યું હતું. ગુજરાતમાં ભાજપ પ્રેરિત એકતા, શાંતિ અને ભાઇચારાની શક્તિ દુનિયાને બતાવવા પણ હાકલ કરી હતી.
કચ્છમાં નવા વિકાસકામો માટે R ૨૧૬૫ કરોડની જાહેરાત
દરેક જિલ્લાની સદ્દભાવનામાં વિકાસકામો માટે આર્થિક જાહેરાત કરતાં મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લા માટે રૂપિયા ૨૧૬૫ કરોડના નવા કામો જાહેર કર્યા હતાં. ૨૦૧૨ વર્ષ માટે જાહેર થયેલાં નવા કાર્યોમાં ગટર, ગામડાઓમાં રસ્તા, પાણી, આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓનો સમાવેશ થશે એમ તેમણે કહ્યું હતું. નર્મદાના ૩૪૫૬ કરોડના કામો અલગ હોવાની સ્પષ્ટતા પણ કરી હતી. પ્રવચન દરમિયાન મોદીએ રણોત્સવમાં ૬૭ હજાર લોકોએ મુલાકાત લીધી હોવાનું કહ્યું હતું અને રૂપિયા ૨૫ કરોડ કચ્છ જિલ્લામાં ઠલવાયા હોવાનું ઉમેર્યું હતું.