દેશમાં ત્રાસવાદ વિરોધી સિસ્ટમનો અભાવ : એમ.એસ. બીટ્ટા

ઓલ ઇન્ડિયા એન્ટી ટેરેરિસ્ટ ફ્રન્ટના પ્રમુખ એમ.એસ. બીટ્ટા ગાંધીધામની બે દિવસની મુલાકાતે ગુજરાતમાં થયેલો વિકાસ કોઇ એક નહીં, પરંતુ સમગ્ર ગુજરાતીઓને આભારી
ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓને રોકવા માટે સક્ષમ વ્યવસ્થા તંત્ર અને કાયદાનો અભાવ હોવાને કારણે ત્રાસવાદી હુમલાઓ થતા હોય છે. ગાંધીધામની મુલાકાતે આવેલા ઓલ ઇન્ડિયા એન્ટી ટેરેરિસ્ટ ફ્રન્ટના મનીન્દરજીતસિંઘ બીટ્ટા ગુજરાતમાં થયેલા વિકાસમાં સમગ્ર ગુજરાતીઓનો ફાળો હોવાનું જણાવીને અનેક ત્રાસવાદી હુમલાઓનો સામનો કરી ચૂકેલા ભારત દેશમાં હાલની સાંપ્રત સ્થિતિ અંગે ઉપર મુજબ જણાવ્યું હતું.
કચ્છની બીજી વિઝિટ દરમિયાન તેમણે જિલ્લાના વિકાસ ઉપરાંત રાજ્યના વિકાસની પણ પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, દુનિયામાં હવે ગુજરાતનું નામ વિકાસના પર્યાયસમુ બની ગયું છે.
મૂળ પંજાબના એવા ગાંધીધામમાં કોંગ્રેસી અગ્રણી સંજય ગાંધી સાથે બીટ્ટાને પારીવારીક સંબંધ હોવાને કારણે તેઓ ગાંધીના નિવાસસ્થાને ગયા હતા. ત્યાં 'દિવ્ય ભાસ્કર’ સાથે કરેલી ખાસ વાતચીતમાં બીટ્ટાએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, મુંબઇ હુમલા પહેલાં જ તેઓએ સરકારને આગાહ કરી હતી કે, ત્રાસવાદીઓ જળમાર્ગે ઘૂસીને હુમલો કરી શકે છે. બીટ્ટા ગાંધીધામના બે દિવસના પ્રવાસે છે, તેઓ રવિવારે એક કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે.
બીટ્ટા પોતે ત્રાસવાદનો ભોગ બની ચૂકેલા છે
પંજાબના મુખ્યમંત્રી બીયંતસિંઘના મંત્રીમંડળમાં મિનિસ્ટર રહી ચૂકેલા મનીન્દરજીતસિંઘ બીટ્ટા ત્રાસવાદ વિરોધી ચળવળ માટે જાણીતા છે. બીટ્ટા પોતે ત્રાસવાદનો ભોગ બની ચૂકેલા છે. ૧૯૯૩માં દિલ્હીમાં રાયસીના હિલ રોડ ખાતે થયેલા ઘાતક ત્રાસવાદી હુમલામાં તેમની સાથેના ૧૩ સિક્યોરિટી ગાર્ડનું મોત થયું હતું અને આ હુમલાને કારણે તેઓ પોતાનો એક પગ ગુમાવી ચૂક્યા છે. બીટ્ટાને જીવંતપર્યંત ઝેડપ્લસ સિક્યોરિટી વ્યવસ્થા મળેલી હોવાથી ગાંધીધામમાં પણ આજે પોલીસની હાજરી ઉડીને આંખે વળગતી હતી. બીયંતસિંઘના ખૂબ જ નજીકના સાથી હોવાને કારણે જ્યારે તેમના હત્યારાને માફી આપવાની વાત ચાલી હતી, ત્યારે બીટ્ટા ભાવુક થઇને જાહેરમાં રડયા હતા.
અબ્દુલ કલામને પણ યાદ કર્યા
રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીને કારણે હાલ રાષ્ટ્રીય રાજકારણ ગરમ છે, ત્યારે બીટ્ટાએ ભારતીય અણુ વિજ્ઞાનના પિતામહ એવા પૂર્વ રાષ્ટ્રપતિ એપીજી અબ્દુલ કલામને યાદ કર્યા હતા. કલામની અંદર તમામ ગુણો હોવાનું જણાવીને તેમણે તેમના રાષ્ટ્રપતિ કાળના સમયને પણ યાદ કર્યો હતો અને આવી જુજ વ્યક્તિઓ ભારતમાં છે તેમ જણાવ્યું હતું.






