લખપત તાલુકામાં પાટીદાર સમાજની વિશેષ વસતી ધરાવતાં દયાપર, દોલતપર, ઘડુલી, વિરાણી, ધારેશી, સિયોત, મેઘપર સહિતના ગામોમાં શ્રાવણી તહેવાર સાતમની ઉજવણી ધામધૂમ પૂર્વક કરાઇ હતી. આજે જન્માષ્ટમીના દિવસે દરેક ગામોના મંદિરોમાં કૃષ્ણ જન્મની પણ ભકિત અને ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરાશે.
પાટીદાર સમાજના અબાલ વૃદ્ધો સૌ કોઇ શ્રાવણી પર્વ પ્રસંગે ગામની સમાજવાડી કે મંદિરના પ્રાંગણમાં દેશી દાંડિયા રાસની રમઝટમાં પણ લીન થયા છે. પાટીદાર સમાજના લોકો ભલે ધંધાથેg દેશ-વિદેશ કે અન્ય રાજ્યોમાં રહેતા હોય પરંતુ શ્રાવણી પર્વ પ્રસંગે પોતાને માદરે વતન આવવાનું ચૂકતા નથી. તો આ સમય ગાળા દરમિયાન ચોમાસની ઋતુમાં જો વરસાદ સારો થયો હોય તો આ ઉત્સવોની ઉજવણીમાં જાણે ‘ચાર ચાંદ’ લાગી જતા હોય છે.
સાતમના દિવસે મોડી રાત સુધી ખેલૈયાઓ દ્વારા દાંડિયા રાસની જમાવી જામી હતી તો જન્માષ્ટમી પ્રસંગે દરેક ગામોમાં બપોરથી જ રાબેતા મુજબ ઢોલના તાલે રાસ સાથે રમઝટ જામશે તેમજ બરાબર રાત્રે બાર કલાકે દરેક ગામોના મંદિરોમાં કૃષ્ણ ભગવાનના જન્મની ઉજવણી કરાશે. દયાપર ખાતેના ગામના મુખ્ય સત્યનારાયણ મંદિરે તેમજ સ્વામિનારાયણ મંદિરમાં રાત્રે દસ કલાકે ઓચ્છવ-ભજન-કીર્તન સાથે કૃષ્ણ જન્મની ઉજવણી કરાશે.