એક તરફ પાકિસ્તાન પૂર સામે ઝઝૂમી રહ્યું છે, તો બીજી તરફ દેશના કેટલાક આતંકવાદી સંગઠનો પાકિસ્તાનમાં આવેલા પૂરનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાલિબાન આજકાલ પૂરના અસરગ્રસ્તોને અવનવી ઓફર કરી રહ્યું છે. તાલિબાન પૂરના અસરગ્રસ્તોમાંથી આશરે 50000 યુવકોની ભરતી કરવા માગે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાલિબાન ગુરિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને પૂર પીડિતોની મદદ કરી રહ્યું છે જેના બદલામાં તે પૂર પીડિતોને પોતાની ફોજમાં ભરતી કરી રહ્યું છે. ધ સનના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે તાલિબાન પાકિસ્તાનમાં આવેલા પૂરને કારણે આજકાલ ઉત્સવ મનાવી રહ્યું છે.
રિપોર્ટના જણાવ્યા પ્રમાણે તાલિબાન પચાસ હજાર જેટલા લોકોને મદદના બદલામાં તેના જૂથમાં ભળવાની ઓફર કરી રહ્યું છે. તાલિબાન આ અભિયાનને પોતાનો સૌથી મોટો એજન્ડા માની રહ્યું છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાલિબાન પૂર પીડિતો સુધી ભોજન, દવા અને રાહત સામગ્રી પુરી પાડી રહ્યું છે. જેના કારણે તે લોકોની સહાનુભૂતિ મેળવી શકે. તાલિબાન આ વાતનો ફાયદો ઉઠાવીને યુવકોને પોતાના જૂથમાં ભેળવવા માગે છે.
મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે અલકાયદાનું સમર્થન કરી રહેલા રહમત ટ્રસ્ટ અને જમાત ઉદ દાવા તલિબાનના આતંકવાદીઓના મિશનને પૂરું કરવા માટે કામ કરી રહ્યા છે. પાકિસ્તાનની જાસૂસી સંસ્થાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અલકાયદાના એજન્ડામાં લગભગ 50 હજાર જેટલા પૂર પીડિતો છે, જેને તે પોતાની કેડરમાં ભરતી કરવા માગે છે. જે પાકિસ્તાનની આંતરિક સુરક્ષા અને આતંકવાદ વિરુદ્ધ ચલાવવામાં આવેલી ચળવળ માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે.
વર્તમાનપત્રએ પૂરથી પ્રભાવિત અબ્દુલ ઝફાર નામના વ્યક્તિના હવાલેથી લખ્યું છે કે, તાલિબાન અમારા માટે એક અવસર લઈને આવ્યું છે. પૂરને કારણે અમારી જિંદગી સાવ નરક સમાન બની ગઈ છે. અમે ખોરાક માટે વલખા મારી રહ્યા છીએ. અન્ય એક પૂર પીડિત મોહમ્મદ અનવરના જણાવ્યા પ્રમાણે તાલિબાન પૂરના પ્રકોપનો ઉપયોગ વધારે સંગઠિત થવા માટે કરી રહ્યું છે. સરકારે પૂર પીડિતોની મદદ માટે સ્વાતમાંથી હજારો સૈનિકો હટાવી લીધા છે. આથી તાલિબાન આ ક્ષેત્રમાં સરળતાથી લોકોને પૈસાની લાલચ આપી રહ્યા છે.
તો બીજી તરફ પાકિસ્તાનના આંતરિક બાબતોના મંત્રી રહમાન મલિકે જણાવ્યું હતું કે જો તાલિબાન આતંકવાદિઓને પૂર પ્રભાવિત વિસ્તારોના હીરો બનતા રોકવું હોય તો પીડિતો સુધી મદદ પહોંચાડવાની જરૂર છે.