કપાતું નાક’ બચાવવા પાક.નો પ્રયાસ: હિન્દુઓને વાઘા બાર્ડર પર અટકાવ્યા

- ભારત દર્શનાર્થે આવી રહેલા હિન્દુઓને વાઘા બોર્ડર પર અટકાવાયા - હિન્દુઓ પાસે વિઝા હોવા છતા ઓથોરિટી દ્વારા અટકાવાયા
-હિન્દુઓ ભારત હિજરત કરી રહ્યા હોવાના અહેવાલો બાદ લેવાયું પગલું
પાકિસ્તાનની ઈમિગ્રેશન ઓથોરિટી દ્વારા આજે 130 જેટલા પાકિસ્તાની હિન્દુઓને વાઘા બોર્ડર પર અટકાવવામાં આવ્યા હતા. આ લોકો દર્શનાર્થે ભારત આવી રહ્યાં હતાં. પાકિસ્તાનમાંથી હિન્દુઓ ભારત હિજરત કરી રહ્યા હોવાના અહેવાલો વહેતા થયા બાદ સંબંધિત પગલું ભરવામાં આવ્યું હતું.
પીટીઆઈના સુત્રોના જણાવ્યા અનુસાર ઈમિગ્રેશન અધિકારીઓ દ્વારા આ લોકો પાસે કાયદેસરના વિઝા હોવા છતાં પણ અટકાવી દેવામાં આવ્યા હતા. આ પાછળ ‘સિક્યોરિટી ક્લીયરન્સ’નું કારણ આગળ ધરી દેવામાં આવ્યું હતું.
સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ઈમિગ્રેશન ઓથોરિટીના આ પગલા પાછળ પાકિસ્તાની ગૃહ મંત્રાલયનો એ આદેશ જવાબદાર છે જેમાં તેમણે એક પણ હિન્દુને વાઘા બોર્ડર પાર ન કરવા જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાકિસ્તાનના હિન્દુઓ ભારત હિજરત કરી રહ્યાં હોવાના અહેવાલો વહેતા થયા હતા જે બાદ પાકિસ્તાન તંત્ર સફાળું જાગ્યું હતું અને આંતરરાષ્ટ્રીય બદનામી થતી રોકવા સંબધિત પગલું ભરવામાં આવ્યું હતું.
આ પહેલા પાકિસ્તાનના સિંધ પ્રાન્તના જેકોદાબાદમાં મનિષા કુમારી નામની એક હિન્દુ યુવતીનું બહુમતીઓ સમુદાય દ્વારા અપહરણ કરી લેવાયું હતું જે બાદ અહિંના હિન્દુઓમાં ચિંતાનું મોજુ ફળી ઉઠ્યું હતું. જેના પગલે હિન્દુઓ હમેંશ માટે પાકિસ્તાન છોડી ભારત જઈ રહ્યા હોવાના અહેવાલ વહેતા થયા હતા.







