પાડોશી દેશ સાથે સંબંધો સામાન્ય બને તે માટે પાકિસ્તાન ગયેલા વિદેશ મંત્રી કૃષ્ણા પરત આવી ગયા છે. જો કે ફરી એક વખત પાકિસ્તાનની આડોડાઈને કારણે બંને દેશ વચ્ચેની મંત્રણા નિષ્ફળ નિવડી છે.
જોકે અત્યાર સુધી કોઈ મોટા ત્રાસવાદી હુમલા બાદ ભારત-પાક મંત્રણા હંમેશા નિષ્ફળ રહી છે. આ પહેલા કારગિલ યુદ્ધ બાદ ભારતને આવો અનુભવ થઈ ચુક્યો છે. મુંબઈ હુમલા બાદ ફરી એક વખત આજ ઘટનાનું પુનરાવર્તન થયું છે.
કારગિલ યુદ્ધ બાદ 15 જૂલાઈ 2001ના રોજ યોજાયેલી આગ્રા શિખર વાર્તા અને 26/11ના મુંબઈ હુમલા બાદ બંને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચેની શાંતિ વાર્તામાં એક વસ્તુ સમાન છે. અને એ છે વાતચીતનું પરિણામ. જૂલાઈ મહિનાએ ફરી એક વખત બંને દેશ વચ્ચે સંબંધો સામાન્ય બનવાની આશા પર પાણી ફેરવી નાખ્યું છે.
જો કે મુંબઈ હુમલા બાદ બંને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે યોજાયેલી બેઠકનું કોઈ પરિણામ નહીં આવે એવી આશંકા તો પહેલેથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ પાકિસ્તાનના વિદેશ મંત્રીના આમંત્રણ પર કૃષ્ણાએ પાકિસ્તાન જવાબનું નક્કી કર્યું હતું.
આખરે મોટી આશા સાથે કૃષ્ણા પોતાની સાથે ત્રીસ જેટલા પત્રકારોને લઈને પાકિસ્તાન જવા રવાના થયા હતાં. પરંતુ પાકિસ્તાનની મુલાકાત દરમિયાન કુરેશીએ જે કંઈ પણ કર્યું તેનાથી લોકોને આગ્રા શિખર બેઠક દરમિયાન મુશર્રફના વર્તનની યાદ આવી ગઈ હતી.
ઈસ્લામાબાદ ખાતે બંને દેશોએ પોતાની વચ્ચે ઉભા થયેલા મતભેદોને દૂર કરવા માટે વાતચીતનો સમય બે ગણો વધાર્યો હતો. પરંતુ વાતચીત બાદ બંને વિદેશ મંત્રીઓએ જ્યારે પત્રકાર પરિષદને સંબંધન કર્યું ત્યારે પાકિસ્તાનનો અસલી ચહેરો બધાની સામે આવી ગયો હતો. પત્રકાર પરિષદમાં એક સમય એવો પણ આવ્યો કે બંને નેતા એક બીજાની વાત કાપવા લાગ્યા હતાં. ત્યારથી જ નક્કી હતું કે બંને દેશ વચ્ચેની મંત્રણાનું કોઈ પરિણામ નહીં નિકળે.
આટલું ઓછું હોય તેમ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કૃષ્ણા ભારત આવવા રવાના થયાં ત્યાર બાદ પત્રકારોને સંબોધન કરતી વખતે ભારતના વિદેશ મંત્રીને અનેક ટોણા માર્યા હતાં. કુરેશીએ કહ્યું કે ભારતના વિદેશ મંત્રી તૈયારી વગર અહીં આવી ગયા હતાં. તેમજ બંનેની વાતચીત દરમિયાન કૃષ્ણા સતત નવી દિલ્હી સાથે ફોન પર વાતચીત કરી રહ્યા હતાં. સમગ્ર ઘટનાક્રમે બધાને મુશર્રફની યાદ અપાવી દીધી હતી.
*