ફ્લોરિડાના એક ચર્ચમાં 11 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય સ્તરે કુરાનને સળગાવવાના દિવસ તરીકે ઉજવવવામાં આવશે. સ્થાનિક મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા આતંકવાદી હુમલાની નવમી વરસીએ ચર્ચ દ્વારા આવું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ચર્ચના આવા કાર્યની ખ્રિસ્તી અને મુસ્લિમ સંગઠનો દ્વારા નિંદા કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફ્લોરિડાના ધ ડોવ વર્લ્ડ આઉટરીચ સેન્ટરમાં 9/11ની વરસી પર એક શોક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ઈસ્લામને ખરાબ અને કપટી લોકોનો ધર્મ કહીને કુરાનને સળગાવવામાં આવશે. ચર્ચ પોતાના આ સંદેશાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે ફેસબુક તેમજ પોતાની વેબસાઈટ પર પ્રચાર પણ શરૂ કરી દીધો છે. તેમજ અનેક ખ્રિસ્તીઓને 11 સપ્ટેમ્બરના રોજ સાંજે 6 થી 9 વાગ્યા સુધી કુરાન સળગાવવા માટે હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
ચર્ચના પાદરી ટેરી જોન્સે એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે ઈસ્લામ ખરાબ લોકોનો ધર્મ છે. ઈસ્લામના કારણે અબજો લોકોએ નર્કમાં જવું પડે છે. આ એક હિંસક અને દગાખોર ધર્મ છે, આ વાત અનેક વખત સાબિત થઈ ચુકી છે.
ફેસબુક પર ચર્ચના અભિયાનનું સમર્થન કરતા 1600 લોકો ભેગા થઈ ગયા છે. ચર્ચે યૂટ્યુબ પર પણ પોતાની ચળવળ તેજ બનાવવા માટે એક વીડિયો અપલોડ કર્યો છે. જોન્સે જણાવ્યું હતું કે તેમણે ઈસ્લામ વિરુદ્ધ ‘ઈસ્લામ ઈઝ ઓફ ધ ડેવિલ’ નામનું એક પુસ્તક પણ લખ્યું છે. તેની સાથે સાથે ચર્ચના કપડા તેમજ કપ ઉપર પણ આ સ્લોગન લખવામાં આવ્યું છે.
આ ચળવળ ઉપર અનેક ખ્રિસ્તી અને મુસ્લિમ સંગઠનોએ વાંધો ઉઠાવ્યો છે. નેશનલ એસોસિએશન ઓફ ઈવાંઝેનિક્સે ચર્ચને એવી ચેતવણી આપી છે કે તેઓ પોતાનો કાર્યક્રમ રદ્દ કરે નહીં તો દુનિયાભરમાં તનાવ ઉત્પન્ન થઈ શકે છે. ફેસબુક પર પણ અનેક લોકોએ આ ચળવળનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે.