પાકિસ્તાનની જેલમાં કેદીઓને ભોજનમાં મનુષ્યનો હાથ પીરસાયો હોવાની ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેલના અધિકારીઓ દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી હતી. ઘટના અંગે કોટ લખપત જેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે રમઝાન મહિના દરમિયાન ગઈકાલે કેદીઓની પીરવામાં આવેલી મીટની કરીમાંથી મનુષ્યના હાથ જેવો દેખાતો માંસનો ટુકડો મળી આવ્યો હતો.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પોતાના ભોજનમાં મનુષ્યના હાથ જેવી વસ્તુ દેખાયા બાદ ફહીમ રઝા નામના એક કેદીએ આ અંગે જેલના અધિકારીઓને જાણકારી આપી હતી. ઘટના બાદ અન્ય કેદીઓએ પણ જેલના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલું ભોજન ખાવાનો ઈનકાર કર્યો હતો, તેમજ ઘટનાનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટનાને દબાવવા માટે જેલના અમુક કેદીઓને ટોર્ચર કરવામાં આવ્યા હોવાની પણ શક્યતા છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેલના અધિકારીઓએ રઝાના ભોજનમાંથી મનુષ્યનો હાથ કાઢી લીધો હતો તેમજ ઘટના અંગે ચૂપ રેહવાનો આદેશ આપ્યો હતો. પંજાબ હોમ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી સેક્રેટરી ફોર પ્રીઝન ખાલિદ રશૂલને આ વાત ધ્યાનમાં આવતા તેમણે જેલની મુલાકાત લીધી હતી, તેમજ ઘટના અંગે તપાસનો આદેશ આપ્યો હતો.
જો કે સૂત્રોએ જણાવ્યું હતું કે જેલના અધિકારીઓ આ ઘટનાને દબાવવા માગતા હતાં. આથી જ તેણે ભોજનમાંથી નિકળેલો માંસનો ટુકડો લેબોરેટરી અથવા પ્રાથમિક તપાસ માટે મોકલ્યો ન હતો. તેમજ જેલના અધિકારીઓ દ્વારા એવો બચાવ કરવામાં આવ્યો હતો કે ભોજનમાંથી નિકળેલો ટુકડો માંસનો જ હતો જે મનુષ્યના હાથના આકારનો હતો.