પાકિસ્તાનમાં હિન્દુઓ ભયમાં: અમેરિકાને વ્યક્ત કરવી પડી ચિંતા!

ભારતના પડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં લઘુમતિઓ અને તેમાં પણ ખાસ કરીને હિન્દુઓ પ્રત્યે ભારે ભેદભાવપૂર્ણ વર્તન કરવામાં આવે છે. તેમ છતાં ભારત સરકાર આવી ઘટનાઓને ન તો ગંભીરતાથી લે છે કે ન તો તેના વિરુદ્ધ સખત પ્રતિક્રિયા રજુ કરે છે. પરંતુ વિધર્મી રાષ્ટ્રોમાં ફસાયેલા આ હિન્દુઓની વ્હારે હવે અમેરિકા આવ્યું છે.
પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં લઘુમતિઓ, ખાસ કરીને હિન્દુઓ પર થઈ રહેલા ભેદભાવ પ્રત્યે અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે. અને તેમના વિરુદ્ધ આચરવામાં આવતી હિંસાની ઘટનાઓના ઉદાહરણો પણ રજૂ કરવામાં આવ્યા છે.
અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર રજૂ કરાયેલા એક રિપોર્ટમાં જણાવાયું છે કે, પાકિસ્તાનમાં હિન્દુઓ હમેંશા અપહરણ અને ધર્મપરિવર્તનની ઓછાયા હેઠળ જીવી રહ્યાં છે.
રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ અને અન્ય ધાર્મિક લઘુમતિ સમુદાયોના સભ્યોને મુસ્લિમ બહુમતિ ધરાતવતી વસ્તી તરફથી હિંસા અને ભેદભાવનો સામનો કરવો પડે છે.
હિન્દુ યુવતિઓનું અપહરણ
પાકિસ્તાનમાં કુલ વસ્તીના પાંચ ટકા કરતા પણ અલ્પભાગ ધાર્મિક લઘુમતિઓનો ગણવામાં આવે છે. જેમાં હિન્દુઓનો પણ સમાવેશ થાય છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે ધાર્મિક લઘુમતિઓનો દાવો છે કે બળજબરીપૂર્વક થતું ધર્મપરિવર્તન રોકવા સરકારના પ્રયાસ પુરતા નથી.
પાકિસ્તાન માનવઅધિકાર પરિષદ અને પાકિસ્તાન હિન્દુ પરિષદના મતે હિન્દુ સમુદાયની 20-25 યુવતીઓનું દરમહિને અપહરણ કરી લેવામાં આવે છે. અને તેમને બળજબરીપૂર્વક ઈસ્લામ કબૂલ કરી લેવાનું કહેવાય છે.
અમેરિકાનો રિપોર્ટ
અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા ઉદાહરણ રજુ કરાતા જણાવાયું છે કે ગયા વર્ષે 9 નવેમ્બરે 4 હિન્દુ ડોક્ટરોની સિંધ પ્રાંતના શિકારપુર જિલ્લામાં ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી.
જાણવા મળ્યું છે કે આ ઘટના એક હિન્દુ મર્દ અને મુસ્લીમ સ્ત્રિ વચ્ચેના અવૈદ્ય સંબંધોની પ્રતિક્રિયારુપે બની હતી. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે આ ઘટનાની તપાસ એક વર્ષથી લંબાવવામાં આવી રહી છે.
બાંગ્લાદેશની ઘટના
રિપોર્ટમાં જણાવાયું છે કે બાંગ્લાદેશમાં પણ લઘુમતિઓ વિરુદ્ધ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. જે અનુસાર હિન્દુ, ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓને મુસ્લીમ બહુમતિ દ્વારા ભેદભાવનો શિકાર થવું પડે છે. ક્યારેક ક્યારેક આ લઘુમતિઓ વિરુદ્ધ હિંસા પણ આચરવામાં આવે છ.
જોકે, રિપોર્ટમાં જણાવાયું છે કે, બાંગ્લાદેશમાં લઘુમતિઓ વિરુદ્ધ ભેદભાવની ઘટનાઓમાં ગયા વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે.
તેમ છતા પણ, બાંગ્લાદેશમાં દાખલ કરવામાં આવેલા એક સંપતિ કાયદાને કારણે ત્યાં કેટલાય હિન્દુઓને પોતાની જમીન ગુમાવવાનો વારો આવ્યો છે.
અલબત અવામી લીગની સરકારે આ કાયદાને વર્ષ 2001માં હટાવી લીધો હતો. પરંતુ બાદમાં આવેલી સરકારે આ કાયદો ફરી અમલી બનાવી દીધો હતો.
ઢાકા વિશ્વવિદ્યાલયના એક પ્રોફેસરના અભ્યાસનો ઉલ્લેખ કરતા રિપોર્ટમાં જણાવાયું છે કે આ કાયદાના પગલે બાંગલાદેશની સરકારે લગભગ 26 લાખ એકર જેટલી જમીન હડપ કરી લીધી જેની અસર દેશના બધા જ હિન્દુઓ પર પડી છે.







