અરુણાચલ દર્શાવતા ભારતીય નકશા ધરાવતી પુસ્તિકા જપ્ત થઇ
ચીન દ્વારા ભારતના સૈન્ય અધિકારીને વીઝા ના આપવાને મુદ્દે વિવાદ ગરમાયો છે. વીઝા ના આપવાનો કિસ્સો તો નવો છે પરંતુ જુલાઇ મહિનામાં જ ચીને એક ઘૃણાસ્પદ હરક્ત કરી હતી.૧૨ જુલાઇના રોજ ચીને શાંઘાઇ એક્સપોમાંથી ભારતનો નકશો હટાવી દીધો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ચીનની જાહેર સુરક્ષા બ્યુરોના અધિકારી શાંઘાઇમાં ચાલી રહેલા વર્લ્ડ એક્સપો - ૨૦૧૦માં આવેલા ભારતીય પેવેલિયનમાં પહોંચ્યા હતા અને ભારતનો નકશો ધરાવતી વિવરણ પુસ્તિકાઓ જપ્ત કરી હતી. નકશામાં અરુણાચલનો ઉલ્લેખ હતો અને ચીન અરુણાચલને પોતાનો હિસ્સો માનતું હોવાથી આ પુસ્તિકાઓ જપ્ત કરવામાં આવી હતી.
ભારતના સંરક્ષણ અધિકારીઓનું માનવું છે કે ચીને સ્થળ પરથી સીધા નકશા જપ્ત કરવાને બદલે તેની ફરિયાદ ભારત સરકારને કરવી જોઇતી હતી. આ વિષયે તે પત્ર લખી શકે. ચીને આ ઘટના વિષે ચીનમાં આવેલા ભારતીય દૂતાવાસ કે એક્સપોમાં પેવેલિયન લગાવી ચૂકેલા ભારતીય પર્યટન વિભાગને જાણકારી આપવાની પરવા કરી નહોતી.