ટબમાં પાણી ભરીને કમર સુધીનું શરીર પાણીમાં ડૂબેલું રહે એ રીતે કરવામાં આવતા કટિસ્નાનથી સ્થૂળતા અને પેટના અનેક રોગ દૂર થાય છે.
પેટના ઘણાબધા રોગ દૂર કરવા માટે ‘કટિસ્નાન’ કરવામાં આવે છે. આપણા શરીરમાં મોટા ભાગના રોગ પેટની ગરબડને લીધે જ ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે આપણે રોજ સ્નાન તો કરીએ છીએ, પણ થોડી વાતોનું ધ્યાન રાખીએ તો એ સ્નાન તાજગીની સાથે સ્વાસ્થ્ય પણ પ્રદાન કરે છે.
કટિસ્નાન કઇ રીતે કરવું?
એક મોટા ટબમાં પાણી ભરો. પાણી એટલું જ હોવું જોઇએ જેથી તેમાં તમારા કમર સુધીનો ભાગ ડૂબી શકે. તમે આરામથી બેસી શકો એવું ટબ પસંદ કરવું. ટબમાં ભરેલું પાણી વાતાવરણ પ્રમાણે ઠંડુ અથવા નવશેકું રાખવું. પહેલી વાર કટિસ્નાન કરતી વખતે પાંચ-દસ મિનિટ સુધી બેસવું. પછી ધીમે ધીમે સમય વધારીને અડધા કલાક સુધી બેસી શકો છો. આ દરમિયાન એક ટુવાલ લઇને નાભિના નીચેના ભાગ તરફ ડાબીથી જમણી તરફ અને પછી જમણીથી ડાબી તરફ એમ હળવા હાથે ઘસો. આનાથી પેટમાં જમા થયેલો વધારાનો ખોરાક મળ વાટે બહાર નીકળી જશે અને પેટ સ્વસ્છ અને સ્વસ્થ થઇ જશે. એ વાતનું ધ્યાન રાખવું તે ટબના પાણીમાં રહેલા શરીરના ભાગને જ ભીનો કરો. આખા શરીરને પલાળવાની જરૂર નથી, નહીંતર કટિસ્નાનનું મહત્વ રહેશે નહીં.
સ્વસ્થ વ્યક્તિએ સ્નાન કર્યા પછી હળવી કસરત કરવી કે થોડું ચાલવું જોઇએ. જેથી શરીરની સ્વસ્થતા જળવાઇ રહે. કટિસ્નાનથી સ્થૂળતા ઓછી થાય છે, પાચનક્રિયા નિયમિત બને છે, પેટના અનેક રોગ દૂર થાય છે અને આંતરડાંની અશુદ્ધિ પણ સાફ થઇ જાય છે.
ખૂબસુરત