શિશુજન્મ બાદ પ્રથમ ત્રણ દિવસમાં માતાના ધાવણમાં આવતા પ્રવાહીમાં ભરપૂર પોષક તત્વો રહેલાં હોય છે.
ઓગસ્ટ માસનું પ્રથમ અઠવાડિયું દુનિયાભરમાં ‘બ્રેસ્ટ મિલ્ક વીક’ તરીકે ઉજવાય છે. માતાના ધાવણના ફાયદા-ગેરફાયદા વિશે લોકો ખૂબ જાગૃત થયા છે. ધાવણની ત્રણ ખૂબી વિશે વિગતે જોઇએ.
(૧) બાળકના જન્મ બાદ શરૂઆતના બે-ત્રણ દિવસ સુધી માતાને ખૂબ ઓછી માત્રામાં ધાવણ આવે તો પણ તે બાળક માટે પૂરતું છે. જન્મ બાદ બને તેટલું ઝડપથી બાળકને ચૂસવાનું શરૂ કરાવવાથી શરૂઆતનું દૂધ ઝડપથી આવવાનું ચાલુ થઇ જ થાય છે. બાળક જેમ વધુ ચૂસશે તેટલું ઝડપથી માતાને ધાવણ આવશે. શરૂઆતના બે-ત્રણ દિવસ પાતળું-પીળું પ્રવાહી જેવું દૂધ જથ્થામાં ઓછું જરૂર હોય છે, પણ તે બાળકની બધી જ જરૂરિયાત પૂરી કરી શકે તેટલું પોષણયુક્ત હોય છે.
તેમાં ચેપથી રક્ષણ આપતા રોગપ્રતિકારક તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આથી શરૂઆતના દિવસોમાં બાળક ભૂખ્યું રહેશે તેમ માની તેને ઉપરનું દૂધ, ગોળ-મધનું પાણી, પાઉડરનું દૂધ કે ગ્રાઇપ વોટર આપવાની સહેજ પણ જરૂર નથી. આવા ખોરાક બાળકની ચૂસવાની વૃત્તિ ઘટાડી માતાની કુદરતી ધાવણ આપવાની પ્રક્રિયા ખોરવી નાખે છે.
(૨) એક વખત સંપૂર્ણ બંધ થઇ ગયેલું ધાવણ ફરીથી પણ ચાલુ થઇ શકે છે. ધાવણ બંધ થયા બાદ ફરીથી ચાલુ કરવાનો ગાળો જેમ ઓછો, તેમ ધાવણ ફરીથી ચાલુ થવાની શક્યતા વધુ. બાળકના જન્મ બાદ માતાના શરીરમાં ત્રણ મહિના અંત:સ્રાવોનું પ્રમાણ જળવાયેલું હોય છે. આ ત્રણ મહિના દરમિયાન માતા પ્રયત્ન કરે તો સફળતાની શક્યતા વધુ રહે છે. ધાવણ બંધ થયા બાદ માતાએ બાળકને બોટલથી દૂધ આપ્યું હોય તો ફરીથી ધાવણ ચાલુ થવાની શક્યતા ઓછી. ફરીથી ધાવણ ચાલુ કરવા માતાએ ખૂબ જ ધીરજથી બાળકને ફરીથી વારંવાર ચૂસાડવાનું ચાલુ કરવું.
દર ત્રણ કલાકે ૧૫ મિનિટ કાં તો આંગળીથી નિપલ પર મસાજ કરવો અથવા ઈલેક્ટ્રિક બ્રેસ્ટ પમ્પ રાખી સકશન કરવું. આથી દૂધવાહિની ખુલશે. ડોક્ટરની સલાહ લઇ ધાવણ વધારતી એલોપથિક કે આયુર્વેદિક ગોળી કે પાઉડરનો ઉપયોગ કરી શકાય. બીજા દિવસથી દસ દિવસમાં ગમે ત્યારે માતાને સ્તન ભારે લાગે, નિપલનો કલર બદલાય, દુખે, વધુ તરસ લાગે તો સમજવું કે પોતાના ધ્યેયમાં સફળ થઇ રહી છે. થોડા ટીપાંથી માંડી સામાન્ય ધાવણ પણ આવી શકે.
(૩) HIV પોઝિટિવ માતાએ પણ ધાવણ આપવું જોઇએ. જો કે HIV પોઝિટિવ માતા સામાન્ય માતાની જેમ ૨ વર્ષ સુધી ધાવણ આપે તો તેનાથી HIVનો ચેપ લાગવાની શક્યતા ૧૫% જેટલી જ છે. ફક્ત ધાવણ પહેલાં પાંચ-છ મહિના આપી ૧૦-૧૨ દિવસમાં સંપૂર્ણ બંધ કરવાથી બાળકને HIVનો ચેપ લાગવાની શક્યતા ફક્ત ૫-૬% જ રહે છે. ફક્ત ધાવણ આપવાથી બાળકમાં HIVનો ચેપ લાગવાની શક્યતા ઓછી રહે છે, પરંતુ જો ધાવણ સાથે ઉપરનું દૂધ આપવામાં આવે તો HIVનો ચેપ લાગવાની શક્યતા વધુ રહે છે.
બાળકને મોંમાં ચાંદા કે માતાને નિપલ પર ચીરા પડે તો ધાવણ તુરંત બંધ કરવું. WHOએ પણ સૂચન કર્યું છે કે જ્યાં સુધી ઉપરનું સ્વીકાર્ય, સતત અને સલામત દૂધ ન મળે ત્યાં સુધી HIV પોઝિટિવ માતાએ બાળકને ફક્ત ધાવણ જ આપવું વધુ હિતાવહ છે.