મારી ઉંમર ૩૨ વર્ષની છે. મારાં લગ્નને પાંચ વર્ષ થયાં છે. ઘણી વાર હું સમાગમ કરતાં પહેલાં કે સમાગમ કરતી વખતે જ ચરમસીમા પર પહોંચી જઉં છું. કોઈ વાર મને જેટલી મજા આવવી જોઈએ તેટલી આવતી નથી. કોઈ વાર તો હું કમને કરું છું તો મને કંઈ આનંદનો અનુભવ થતો નથી. મારા ફેમિલી ડોક્ટરે મને મનોચિકિત્સક પાસે મોકલી. તેમણે મારી બધી વાત સાંભળી અને એન્ટિ ડિપ્રેશન્ટ દવા લખી આપી અને મને કહેવામાં આવ્યું કે હું ડિપ્રેશનથી પીડાઉં છું. ડિપ્રેશનની ગોળી લીધા પછી હવે મને ચરમસીમા પર પહોંચતા ખૂબ જ લાંબો સમય લાગે છે. મારી તકલીફ શું છે અને મારે શું કરવું જોઈએ એ વિશે મને માહિતી આપશો?
સ્ત્રીમાં કામવૃત્તિના ચાર તબક્કા હોય છે. કામેચ્છા, યોનિમાર્ગમાં ચીકણાહટ, ઈન્દ્રિયનો યોનિમાર્ગમાં પ્રવેશ અને ચરમસીમા એટલે કે આનંદ અને સુખની અનુભૂતિ. તમારી કામેચ્છા યથાવત્ છે. યોનિમાર્ગમાં યોગ્ય ચીકણાહટ પણ થાય છે. ઈન્દ્રિયના યોનિપ્રવેશ વખતે પણ કોઈ સમસ્યા સર્જાતી નથી. માત્ર જ્યારે તમે ચરમસીમા પર પહોંચો છો ત્યારે થોડીઘણી ગરબડ અનુભવો છો.
જ્યારે સ્ત્રી ચરમસીમા પર પહોંચે ત્યારે ઘણી ખરી સ્ત્રીઓને યોનિમાર્ગના આગલા ભાગમાં (બાહ્ય હિસ્સામાં) કોન્ટ્રેકશન (આકુંચન-સંકુચન)ની અનુભૂતિ થતી હોય છે, પણ આ દરેક સ્ત્રીમાં થતી નથી. મારા પેશન્ટોના અનુભવ પ્રમાણે દસમાંથી આઠ સ્ત્રીને આવી અનુભૂતિ થતી હોય છે, પણ દસેદસ સ્ત્રીઓને એક અનુભૂતિ ચોક્કસ થાય છે ‘બસ, હવે વધુ નહીં.’ જ્યારે તમને આ અનુભૂતિ થઈ જાય ત્યારે તમારે એમ સમજવું કે તમે ચરમસીમા પર કે ઓર્ગેઝમ પર પહોંચી ગયા છો.
આ ઓર્ગેઝમ તમારી ઈચ્છા કરતાં વહેલું થઈ જાય તો એને અર્લી ઓર્ગેઝમ કહી શકીએ અને જો આ ઓર્ગેઝમ તમારી ઈચ્છા કરતાં ખૂબ જ મોડેથી થાય તો તેને ડીલેઈડ ઓર્ગેઝમ તરીકે ઓળખાવી શકીએ. ચરમસીમા વખતે આનંદની અનુભૂતિ કે આનંદની તીવ્રતામાં જો ઓછપ લાગે તો એને ઈન્પેર્ડ ઓર્ગેઝમ તરીકે ઓળખાવી શકીએ અને જો કદાચ તમને કામેચ્છા બરાબર હોય, યોનિમાર્ગમાં ચીકણાહટ બરાબર થતી હોય, પણ જો તમે ઓર્ગેઝમ પર ના પહોંચી શકો અથવા તો ઓર્ગેઝમ પર પહોંચો પણ જરાય આનંદનો અનુભવ ના થાય તો એને એબ્સન્ટ ઓર્ગેઝમ તરીકે ઓળખાવી શકીએ. ઓર્ગેઝમમાં આ ચારથી વિશેષ સમસ્યા હોતી નથી અને આ જ વર્ગીકરણ પુરુષોમાં પણ લાગુ પડે છે.
આનંદની અનુભૂતિ બે કાન વચ્ચે (દિમાગ)માં થાય છે, નહીં કે બે પગ વચ્ચે. હવે તમે તમારી સમસ્યા તમારા ડોક્ટરને સરળતાથી સમજાવી શકશો અને દરેક સમસ્યાનો યોગ્ય ઈલાજ શક્ય છે. જુદા જુદા ઓર્ગેઝમની સમસ્યાનાં કારણો જુદાં જુદાં હોય છે અને એ કારણ શોધીને એનો સચોટ ઉપાય શક્ય છે.
નોંધ : તમને એન્ટિ ડિપ્રેશન્ટ ગોળી લીધા પછી ઓર્ગેઝમ પર પહોંચતા ખૂબ મોડું થાય છે જે સ્વાભાવિક છે, કારણ કે ઘણી એિન્ટ ડિપ્રેશન્ટ દવાઓની આ સાઈડ ઈફેકટ છે. ખાસ કરીને જો પેરોકિટટિન નામની દવા લેવામાં આવે તો તે વ્યક્તિમાં (પુરુષ અથવા સ્ત્રી) ચરસમીમા પર પહોંચતાં ડિલે થઈ શકે છે એટલે કે પુરુષ કે સ્ત્રી જો શીઘ્ર ચરમસીમા (સ્ખલન) પર પહોંચતાં હોય તો આ ગોળીના સેવનથી સમાગમ લાંબો ચાલી શકે છે.
• શું દરેક સ્ત્રી અને પુરુષ વારંવાર ઓર્ગેઝમ પર પહોંચી શકે? એટલે કે મલ્ટિ ઓર્ગેઝમ શક્ય છે?
જવાબ : જો એક સ્ત્રી ચરમસીમા પર પહોંચી હોય અને પછી તેનો પાર્ટનર તેને યોગ્ય ઉત્તેજના આપે તો એ વારંવાર ચરમસીમાની અનુભૂતિ કરી શકે. દરેક સ્ત્રીમાં આ ક્ષમતા રહેલી હોય છે. જ્યારે પુરુષોમાં એક વખત સ્ખલન અવસ્થા પ્રાપ્ત કર્યા પછી બીજી વાર તરત જ કામોત્તેજિત થવું મોટાભાગના લોકોમાં શક્ય નથી હોતું. ટૂંકમાં મલ્ટિઓર્ગેઝમની ક્ષમતા સ્ત્રીઓ માટે કુદરતી હોય છે, જ્યારે પુરુષોને એ કળા શીખવી પડતી હોય છે. સ્ત્રીઓમાં ૧૨ ટકા જેટલી સ્ત્રીઓ મલ્ટિઓર્ગેઝમની કુદરતી ક્ષમતા ધરાવતી હોય છે.