આત્મહત્યા એ કોઇપણ મૂંઝવણનો અંત કે રસ્તો નથી. એ કાયરતાનું કામ છે. ભગવાને મુશ્કેલી આપી છે તો તેના ઉપાય પણ તે આપે જ છે.
સમસ્યા: મારી ઉંમર ૨૨ વર્ષની છે અને મને હસ્તમૈથુન કરવાની આદત છે. પરંતુ મારા લિંગની આગળની ચામડી ઉપર ચઢતી નથી. આ તકલીફ મને જન્મથી જ છે. મારા લગ્ન છ માસ બાદ થવાના છે. મિત્રોનું કહેવું છે કે આ તકલીફના લીધે સેક્સ લાઇફમાં તકલીફ થઇ શકે છે. મને આ ચિંતા ખૂબ જ સતાવે છે. આના માટે મને યોગ્ય ઉપાય બતાવશો.
ઉકેલ: આપની તકલીફ ઘણા લોકોની છે અને સામાન્ય મુશ્કેલી છે. તમારી મુશ્કેલીને ડોક્ટરી ભાષામાં ફાઇમોસિસ કહેવામાં આવે છે. આના માટે એક નાનું ઓપરેશન કરવું પડે છે. જેને સુન્નતનું ઓપરેશન કહેવામાં આવે છે. જો તમને આ તકલીફ હોય અને સારવાર ના કરાવો તો શક્ય છે જાતીય જીવનની શરૂઆતમાં ખૂબ જ દુ:ખાવો થાય અથવા તો લોહી પણ નીકળી શકે છે. આ સુન્નતના ઓપરેશનમાં ઉપરની ચામડી કાપી નાખવામાં આવે છે, જેથી અંદરનો ભાગ (ગ્લાનસ પેનિસ) ખુલ્લો થાય છે. આ ઓપરેશન પંદરથી વીસ મિનિટ સુધી ચાલે છે અને એક દિવસ હોસ્પિટલમાં રહેવું પડે છે. આના પછી તમે એકાદ મહિના સુધી જાતીય સંબંધ ના રાખો તે હિતાવહ છે. માટે આપ અત્યારે જ આ ઓપરેશન નિષ્ણાત ડોક્ટર પાસે કરાવી લો. ઓપરેશનથી જાતીય જીવનમાં કોઇ જ તકલીફ થશે નહીં માટે કોઇ જ ચિંતા કરશો નહીં.
સમસ્યા: હું ૧૯ વર્ષનો અપરિણીત યુવક છું. ત્રણ વર્ષથી મારું લિંગ સાવ નાના બાળક જેવું રહે છે. તેના ઉપર બે-ત્રણ ફોલ્લીઓ થઇ છે. હું જ્યારે સ્ત્રી પાસે જાઉં છું ત્યારે અંદરને અંદર તરત જ સ્ખલન થઇ જાય છે. પેશાબમાં પણ બળતરા થાય છે અને પરફેક્ટ આવતો પણ નથી. ઘણા દવાખાને રિપોર્ટ કરાવ્યા પણ કંઇ જ આવતું નથી. મારા લગ્ન હવે ૬ થી ૭ મહિના પછી છે. તો શું હું મારી પત્નીને પૂરેપૂરું સુખ આપી શકીશ? મને સતત આત્મહત્યા કરવાના વિચાર આવ્યા કરે છે. શું ઇન્દ્રિય મોટી કરવાની દવા આવે ખરી?
ઉકેલ: સૌ પ્રથમ, આત્મહત્યા એ કોઇપણ મૂંઝવણનો અંત કે રસ્તો નથી. એ કાયરતાનું કામ છે. ભગવાને મુશ્કેલી આપી છે તો તેના ઉપાય પણ આપે જ છે.
પુરુષની ઇન્દ્રિયનાં બે કામ હોય છે. એક, પેશાબ કરવાનું અને બીજું સંભોગ કરવાનું. સંભોગ વખતે જ ઇન્દ્રિય ઉત્તેજિત થાય છે અને કડક થાય. બાકીના સમય તે નરમ જ રહે છે કારણ કે આ વખતે ઇન્દ્રિયનું કામ માત્ર પેશાબ કરવાનું જ હોય છે. આપને ઉત્તેજનાની ફરિયાદ નથી શીઘ્રસ્ખલનની બીમારી છે. લગ્ન બાદ નિયમિત સમયે સંભોગ થવાથી આપની તકલીફ આપોઆપ દૂર થઇ જશે. છતાં પણ તકલીફ રહે તો પણ ચિંતા કરવા જેવું નથી. શીઘ્રસ્ખલનની ખૂબ જ અસરકારક સારવાર આજના સમયે શક્ય છે.
જો આપ વેશ્યાગમન કે અનેક સ્ત્રીઓ સાથે જાતીય જીવન માણશો તો બીમારી તો થવાની જ છે. શક્ય છે આપને પેશાબમાં ઇન્ફેકશન થયેલું હોય અને તેના લીધે બળતરા થતી હશે. આ માટે યોગ્ય નિદાન કરાવી સારવાર કરવી જરૂરી છે. જો પુરુષની ઇન્દ્રિય ઉત્તેજિત અવસ્થામાં બે ઇંચની હોય તો તેને લાંબી કરવાથી જાતીય આનંદમાં કોઇ જ ફરક પડતો નથી. તેના માટે દવા કે તેલ હજી સુધી ચોક્કસ શોધાયેલાં નથી. ઓપરેશન અથવા પ્રેશર ગેજવાળા વેકયુમ પંપથી લંબાઇ વધારી શકાય છે.
સમસ્યા: મારી ઉંમર ૪૬ વર્ષની છે. મારા પતિની ઉંમર ૫૨ વર્ષની છે. અમારે બે બાળકો છે. બંને નોર્મલ ડિલિવરી હતી. અમારા બંનેની તબિયત એકદમ સારી છે. મને છેલ્લા બે વર્ષથી સેક્સની બિલકુલ ઇચ્છા થતી નથી. મારા પતિ અડે તે જરાય ગમતું નથી. તેઓ દર અઠવાડિયે સેક્સની માગણી કરે છે. અનિચ્છાએ કરીએ પછીથી મને બીજા બે દિવસ ખૂબ જ અશક્તિ અને થાક લાગે છે. મને માસિક ૨-૩ મહિને એકવાર આવી જાય છે. નિયમિત નથી. પહેલાં તો દર ૩૦ દિવસે નિયમિત આવતું હતું. મને કુદરતી રીતે સેક્સની ઇચ્છા થાય તે માટે કંઇ ઉપચાર હોય તો જરૂરથી જવાબ આપવા વિનંતી.
ઉકેલ: આપની સમસ્યાનું કારણ મેનોપોઝ છે. આપને મેનોપોઝ આવવાની શરૂઆત થઇ છે. એટલે કે હવે માસિક ધીરે ધીરે બંધ થશે. આની સાથે શરીરમાં બીજા ફેરફારો પણ જોવા મળે છે. જેમ કે હોર્મોન્સનું બેલેન્સ બદલાવું. જેથી સ્ત્રીનો સ્વભાવ ચીડિયો બની જાય છે, કોઇ વાતમાં મન લાગતું નથી. શરીર ગરમ રહે છે, થાક લાગે વગેરે. સાથે સાથે આ હોર્મોન્સના બદલાવને કારણે ઘણીવાર જાતીય ઇચ્છા પણ ઘટી જાય છે.
યોનિમાર્ગમાં પૂરતી ચીકાશ ઉદ્ભવી શકતી નથી અને સમાગમમાં દદ્ર થાય તેમજ આનંદ અથવા સંતુષ્ટિ મળતી નથી. આ સામાન્ય બાબત છે. આ માટે આપ સ્ત્રીરોગ ડોક્ટરને મળીને એચઆરટી (હોર્મોન્સ રિપ્લેસમેન્ટ થેરાપી) લઇ શકો છો. ફોરપ્લેમાં સમય વધારવાથી યોનિમાર્ગમાં વધુ ભીનાશ અનુભવશો અને જાતીય સંતોષ પણ મળી શકશે. મેનોપોઝનો અર્થ કુદરતી કુટુંબ નિયોજન છે, નહીં કે જાતીય જીવનનો અંત. આ ઉંમરે તમારા પતિને અઠવાડિયે એકવાર સેક્સની ઇચ્છા થાય તો તેને જરાય એબ્નોર્મલ ન કહી શકાય. જો ઇચ્છાનું પ્રમાણ નોર્મલ માણીએ તો પછી એની સંતુષ્ટિ પણ થવી ઘટે. તેઓ પતિ હોવાને નાતે તમારી પાસે માગણી કરે એ પણ અલબત્ત, યોગ્ય જ છે. મારા મતે તમારે નીચે જણાવેલા રસ્તામાંથી એકાદ પસંદ કરી જોવો જોઇએ.
‘તમારા પતિને હસ્તમૈથુન કરવા સમજાવો અથવા તમે હસ્તમૈથુનમાં એમને સાથ આપો.
‘સ્ત્રીરોગ નિષ્ણાતને મળી આપ હોર્મોન્સ રિપ્લેસમેન્ટ થેરાપી શરૂ કરો.
‘સમાગમ વખતે યોનિમાર્ગમાં કે-વાય જેલીનો પ્રયોગ કરો. આ દરેક મેડિકલ સ્ટોર્સમાં સરળતાથી મળી જશે.
‘સમયનો અભાવ ન હોય તો યોગ કરવાનું શરૂ કરો.
‘શક્ય હોય તો આપના શહેરના જ કોઇ કવોલિફાઇડ સેક્સોલોજિસ્ટની મુલાકાત લો. સેક્સની દરેક સમસ્યાનો ઉકેલ શક્ય છે.
નોંધ: આપના પ્રશ્નો ‘કળશ’ પૂર્તિ વિભાગ, ‘દિવ્યભાસ્કર’, અમદાવાદ કાર્યાલયના સરનામે અથવા નીચેના ઇ-મેઇલ પર મોકલી શકો છો.dr9824063332@in.com
જાણવું જરૂરી છે, ડો.પારસ શાહ (સેક્સોલોજિસ્ટ)