દરિયા કિનારે થતાં ગેરકાયદે બાંધકામ જેમાં દરિયાની નિધૉરિત સીમા પછી દબાણ કરીને પર્યાવરણનો નાશ થાય છે, તેને રોકવા સીમાધોરણ નકકી કરવા માટે સરકારે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન કાયદાનું ઘડતર કર્યું હતું. દમણના દેવકા દરિયા કિનારે કેટલીક હોટલો દ્વારા દરિયાના ભાગે દબાણ કરી હોટલોનો શેડ ખડકી દઈ વધારાનું બાંધકામ કરાયું છે, પરંતુ આવા હોટલ માલિકોને જાણે કોઇ કાયદો નડતો ન હોય, તેમ સરેઆમ સીઆરઝેડના કાયદાનો છેદ ઉડાવી દરિયામાં અતિક્રમણ કરતા હોય છે? તંત્રની મિલીભગત વગર આ કાર્ય શક્ય નથી. દમણમાં ગરીબ અને સામાન્ય વર્ગના લોકો પર આ કાયદાનું કડકાઈથી પાલન કરાવાય છે, તેઓ પર કાયદાનો ઠોસ અપનાવાય છે તે ક્યા હિસાબે વ્યાજબી છે, તેવો પ્રશ્ન દમણના જાગૃત નાગરિકો ઊઠાવી રહ્યાં છે.
દમણના દેવકા બીચ પર કેટલીક હોટલોએ સરેઆમ સીઆરઝેડના કાયદાનું ભંગ કરી દરિયા કિનારે હોટલોનું અતિક્રમણ કર્યું છે. કેટલીક હોટલોએ કરેલા અતિક્રમણમાં તંત્રની મિલીભગત હોવાની પણ સંભાવના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. સીઆરઝેડ કાયદાનું સરેઆમ એક બાજુ ઉલ્લંઘન થાય છે અને બીજી બાજુ તંત્ર દ્વારા તેનું પાલન ફક્ત સામાન્ય વર્ગના લોકો પાસે કડકાઈથી પાલન કરાવાનો આગ્રહ રાખવામાં આવે છે.. પ્રશાસનની એકને ગોળ અને એકને ખોળની નીતિ સામે પણ લોકોમાં છુપો રોષ જોવા મળે છે.
દમણના દેવકા બીચ પર કેટલીક હોટલોએ કરેલા અતિક્રમણના મામલે ૧૯૯૬ અને ૧૯૯૭ની સાલમાં દેવકાની કેટલીક હોટલો પર આ કાયદાની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરાઈ હતી, પરંતુ કોર્ટમાં આ મામલાને લઈ જતાં હોટલોને સ્ટે દ્વારા ત્યારે રાહત અપાઈ હતી. પરંતુ હાલમાં પણ કેટલીક હોટલો વરસાદી માહોલમાં શેડ બનાવી દરિયા કિનારા તરફ અતિક્રમણ કરતા હોવાનું કહેવાય છે, ત્યારે તંત્ર મુકપ્રેક્ષક બની રહે તેની સામે લોકોમાં છુપો રોષ જોવા મળે છે.
દમણના એડવોકેટ તથા પર્યાવરણવાદી બકુલભાઇ દેસાઇએ જણાવ્યું કે, જો પર્યાવરણની ખરેખર જાળવણી કરવી હોય તો દમણ તથા દેશના તમામ મોટા શહેરો જેઓ દરિયા કિનારે વસાવટ કરે છે ત્યાં તાત્કાલિક સીઆરઝેડનું જરૂરથી કડકાઈથી અમલીકરણ થવું જોઇએ. આ કાયદાનું ઘડતર પર્યાવરણની જાળવણી કરવા માટે થયું છે, પરંતુ દુ:ખની વાત એ છે કે સીઆરઝેડ કાયદાનો અમલ નથી થતો. આ અંગે મનોજ સાહુએ કહ્યું કે, દેવકામાં હોટલો દ્વારા સીઆરઝેડનું ઉલ્લંઘન અવશ્ય કરાયું છે. જેની એક યાદી ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટના ચેરમેન પદે નિયુક્ત થયેલી સીઆરઝેડની કમિટી દ્વારા આપવામાં આવી છે. કાયદાનું ઉલ્લંઘન કરનારી હોટલો પર તંત્ર દ્વારા શો-કોઝ નોટિસ મોકલાવીને પગલા પણ ભરવામાં આવ્યા છે, પરંતુ કોર્ટમાંથી સ્ટે લાવતાં મામલો થાળે પડયો છે. આગામી ૧પ દિવસમાં તંત્ર દ્વારા પગલાં ભરાશે,તેવી માહિતી કલેક્ટરે આપી હતી.
સીઆરઝેડ કમિટીના ચેરમેન કમલ દત્તાએ જણાવ્યું કે દેવકાની ઘણી હોટલોનો સીઆરઝેડ વાયલોશન અંગે માહિતી ભેગી કરીને રિપોર્ટ બનાવાયો છે અને આ રિપોર્ટની મિનીટસ બનાવીને કલેક્ટરને સોંપવામાં આવી છે.કલેક્ટર દ્વારા કસુરવાર ઉપર શો કોઝ નોટિસ મોકલાવીને કાર્યવાહી કરાય છે. દમણ હોટલ એસો.ના પ્રમુખ ગોપાલ ટંડેલે આ અંગે કોઇ પણ ટીપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.
શું છે સીઆરઝેડનો કાયદો?
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં દરિયાઈ ભરતીનું જોખમથી થતા નુકસાન સામે રક્ષણ માટે ૧૯૯૧માં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ)નો કાયદો અમલમાં મુકવામાં આવ્યો હતો. જેમાં દરિયાની હાઈટાઈડ લાઈન નક્કી કરી આ લાઈનથી ૧૦૦ મીટરે સીઆરઝેડ-૧, ૨૦૦ મીટરે સીઆરઝેડ-૨ અને ૫૦૦ મીટરે સીઆરઝેડ-૩નું સીમાંકન નક્કી કરવામાં આવ્યું હતું. આ ત્રણ શ્રેણી મુજબ બાંધકામની મંજુરી પ્રશાસન દ્વારા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
શું છે સીએમઝેડ કાયદો?
૨૦૧૦માં સીએમઝેડના કાયદામાં જે ફેરફાર કરવામાં આવ્યા છે, તેમાં પ્રથમ દરિયાની હાઇટાઇડ લાઇન નકકી કરવામાં આવશે. આ હાઈટાઈડ લાઈનના આધારે બાંધકામની સીમા પણ નિધૉરીત કરવામાં આવશે. આ સીમાંકન પ્રમાણે કેટલા મીટર પછી કેટલું બાંધકામ કરવું તેની ગાઇડ લાઇનસ પણ બનાવામાં આવશે. આ માટે ગોવાથી એનઆઇઓ સંસ્થા દ્વારા કાર્યવાહી હાથ ધરવામા આવશે જેમા દરિયાની સ્ટેલાઇટ મેપીંગ કરવામા આવશે અને બીજી ઘણી રીતે માપણી કરીને હાઇ-ટાઇડ લાઇન નકકી કરવામાં આવશે.
દરિયાની હાઈટાઈડ લાઈન નક્કી કરાશે
સીઆરઝેડ કાયદો લાગુ થયો, પરંતુ આ કાયદામાં ઘણી છટકબારી હોવાથી તેનું પાલન કરવું અઘરું બન્યું છે. કાયદામાં કોઇપણ હાઇટાઇડ લાઇન ફિકસ કરવામાં આવી ન હોવાથી કેટલાક મિટરે બાંધકામ ઉપર રોક લગાવાય તેનું સ્પષ્ટીકરણ થતું નથી. હવે ૨૦૧૦માં સીએમઝેડ કાયદામાં જે ફેરફાર કરાયા છ,ે તેમાં પ્રથમ દરિયાની હાઇટાઇડ લાઇન નકકી કરવામાં આવશે. ત્યારબાદ બાંધકામની સીમા પણ નિધૉરિત કરાશે. તે પ્રમાણે કેટલા મીટર પછી કેટલું બાંધકામ કરવું તેની ગાઇડ લાઇન પણ બનાવાશે. આ માટે ગોવાથી એનઆઇઓ સંસ્થા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.’’ મનોજ સાહુ, કલેક્ટર, દમણ.