સેલવાસમાં બે યુવાન અને એક આધેડ મહિલાનું અઠવાડિયા દરમિયાન મૃત્યુ થતાં તંત્રમાં દોડધામ મહિલા તબીબ પણ ફ્લૂની ઝપેટમાં આવી
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના મુખ્યાલય સેલવાસમાં સ્વાઇન ફલુથી એક મહિલા સહિત ત્રણના મોત થયાની માહિતી ગુરૂવારે બહાર આવતાં આરોગ્ય તંત્ર ચોકી ગયું હતું.
સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ ડૉ.વી.કે.દાસે માહિતી આપતા જણાવ્યું કે, નાસિકથી સેલવાસ આવેલી ૫૫ વર્ષીય આધેડ મહિલાને છેલ્લાં કેટલાક દિવસથી સ્વાઇન ફલૂની સારવાર અપાઈ રહી હતી, જેનું સાત દિવસ પહેલા સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ સેલવાસના ૩૬ વર્ષના યુવાનનું સ્વાઇન ફલૂથી પાંચ દિવસ પહેલાં મોત થયું હતું.
જ્યારે સેલવાસના મુળ વતની એવાં ૩૫ વર્ષના યુવાનનું ભરૂચમાં ગુરૂવારે ખાનગી હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હાલમાં, સેલવાસની સિવિલમાં ૩૫ વર્ષની મહિલા તબીબને સ્વાઈન ફ્લૂની સારવાર અપાઇ રહી છે. એક સાથે ત્રણ દર્દીના મોતના પગલે સંઘપ્રદેશ દાનહનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
મહુવા અનાવલ પંથક મેલેરિયાની ઝપેટમાં
અનાવલ : મહુવા અનાવલ ખાતે આવેલા સરકારી દવાખાનામાં ગત માસમાં ૨૮થી ૩૦ જેટલા દર્દીની સરખામણીએ આ મહિને માત્ર છ દિવસમાં જ ૩૦થી વધુ મેલેરિયાના દર્દીઓ નોંધાયા છે. હાલ સરકારી દવાખાના ઉપરાંત ખાનગી દવાખાનાંમાં પણ મેલેરિયાના દર્દીઓનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ વિસ્તારમાં આરોગ્ય વિભાગ વહેલી તકે દવાનો છંટકાવ કરી ગંદકીને નષ્ટ કરે એવી લોકમાગ ઊઠી છે. આ વિસ્તારમાં પ્રીમોન્સૂન કામગીરીના અભાવને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. પાણીના ભરાવાને લઈ મચ્છરોના ઉપદ્રવની સાથે હાલ દવાખાનાંમાં મેલેરિયાના દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.
ઉચ્છલ-વ્યારામાં લેપ્ટો.ના ત્રણ શંકાસ્પદ દર્દી
વ્યારા : તાપી જિલ્લા ખાતે લેપ્ટોસ્પાયરોસિસ નામનો રોગ ધીમે ધીમે માથુ ઉંચકી રહ્યો છે. જિલ્લા ખાતે ઉચ્છલ તાલુકામાં ૨ દર્દી અને વ્યારા ખાતે ૧ દર્દીમાં લેપ્ટોના લક્ષણો મળી આવતા ત્રણેય ઇસમોને પ્રાથમિક સારવાર વ્યારામાં આપ્યા બાદ સુરત ખાતે ખસેડવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં લેપ્ટોના રોગીઓની સંખ્યા વધી રહી છે.
તાપી જિલ્લા ઉચ્છલ તાલુકાના ધુટીપાડા ખાતે રહેતા વિક્રમભાઈ દેવજીભાઈ ગામીત (૪૦) તથા આનંદપુર ગામે રહેતા રૂડાભાઈ ગામીત (૪૫) તેમજ વ્યારા તાલુકાના પાનવાડી ગામે રહેતા જમુ દિનેશભાઈ રાઠોડ (૨૮)માં લેપ્ટોના લક્ષણો મળી આવતા પ્રાથમિક સારવાર વ્યારામાં આપ્યા બાદ સુરત ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
નવસારીમાં યુવાનનું લેપ્ટો.થી મોત
નવસારી : નવસારી જિલ્લામાં શુક્રવારે શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસિસના નવા ચાર કેસો બહાર આવ્યા છે. આ સાથે લેપ્ટો.ની સારવાર લઈ રહેલા બામણવેલના શખ્સનું પણ મૃત્યુ થયું હતું. ચીખલી તાલુકાના બામણવેલ ગામે રહેતા ૪૦ વર્ષીય રમેશ ભીખુભાઈ હળપતિ સીએચસી ખાતે લેપ્ટો.ની સારવાર લઈ રહ્યા હતા. રમેશ હળપતિને વધુ સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
વધુમાં ચીખલી તાલુકાના ખુડવેલના ખલીફા ફિળયામાં રહેતા ૨૫ વર્ષીય રૂપેશ ભાઈલાલભાઈ હળપતિ તથા તેની ૨૩ વર્ષીય પત્ની સોનલબેન બંનેની બિમારીમાં લેપ્ટો.ના લક્ષણ દેખાયા છે. આ દંપતી ચીખલી સીએચસીમાં સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત ગણદેવી નગરમાં રહેતા ૩૫ વર્ષીય ધનસુખ ઝીણાભાઈ પટેલ તથા નવસારી તાલુકાના તેલાડા વચલુ ફિળયામાં રહેતા ૫૦ વર્ષીય બાલુભાઈ છનાભાઈ હળપતિને પણ લેપ્ટો.ની સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
રોજના સરેરાશ પાંચથી છ મેલેરિયાના કેસો આવે છે. ૧૧૦થી ૧૨૫ દર્દીના ચેકઅપ કરવામાં આવે છે. આ બાબતે અમે યોગ્ય ટ્રીટમેન્ટ આપી છે. પ્રમોદ ચૌધરી, સરકારી તબીબ મેલેરિયાના કેસોમાં હાલ ચોક્કસપણે વધારો થયો છે. અમારા ક્લિનિક પર સરેરાશ બે થી ત્રણ મેલેરિયાના કેસ આવે છે. યશવંત કેદારિયા, ખાનગી તબીબ