'કોમવાદ'ને ભ્રષ્ટાચારથી મોટો દુશ્મન ગણાવનાર ઇમામ બુખારી માટે બોધપાઠરૂપ કિસ્સો
ભ્રષ્ટાચારની સમસ્યા આજે વૈશ્વિક સમસ્યા બની ચૂકી છે. ભ્રષ્ટાચાર સામે એકલવીર અણ્ણા હજારે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા હતા અને તેમણે તેની સામે એક જન-આંદોલન શરૂ કર્યું. 74 વર્ષની જૈફ વયે યુવાન જેવો થનગનાટ ધરાવતા અણ્ણા હજારેને લાખો દેશવાસીઓએ સમર્થન આપીને ભ્રષ્ટાચાર સામે રણટંકાર કર્યો ત્યારે કેટલાક લોકોએ આ પ્રચંડજન-આંદોલનને તોડી નાખવા કે ધ્યાન બીજે દોરવા માટે સુનિયોજિત પ્રયાસો શરૂ કર્યા. જેમાં દિલ્હીના જુમ્મા મસ્જિદના ઇમામ સૈયદ અહમદ બુખારીનો પણ સમાવેશ થાય છે. ઇમામ બુખારીએ 'કોમવાદ'ને ભ્રષ્ટાચારથી મોટો દુશ્મન ગણાવીને આંદોલનને આડા પાટે ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. શું ભ્રષ્ટાચાર વૈશ્વિક સમસ્યા નથી? ઇમામ બુખારીના પિતા પણ વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા હતા. આજે જે રીતના જન-આંદોલનની દિશાને આડે પાટે ચઢાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તે ગંદી રાજરમતના એક ભાગરૂપે જ છે. આવી જ ગંદી ચાલો માટે અંગ્રેજો જાણીતા હતા.
'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિના પુરસ્કર્તા અંગ્રેજોએ સન 1844માં સુરતના લોકોએ મીઠાના વેરાના વિરોધમાં કરેલ પ્રચંડ આંદોલનને તોડી પાડવા માટે ધર્મગુરૂઓને પત્રો લખ્યા હતા. સમાન્ય રીતે ધર્મગુરૂઓને જૂનવણી માનવામાં આવે છે. પરંતુ એ સમયના ધર્મગુરૂઓએ જે ભૂમિકા ભજવી તે ર્દષ્ટાતરૂપ હોવાથી ઇમામ બુખારીના નિવેદન સાથે તેની તુલના કરવામાં આવશે. વ્હોરા લોકોના ધર્મગુરૂ વડા મુલ્લા સાહેબે અંગ્રેજોની ગંદી રાજરમતને ઉઘાડીને ખૂલ્લા કર્યા હતા તે પ્રસંગ આજે બોધપાઠરૂપ બન્યો છે, પ્રાસંગીક હોવાથી અત્રે મૂકવામાં આવ્યો છે.
સન 1844માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજ શાસકોએ મીઠા ઉપરનો કર વધારીને સુરતી પ્રજાને છંછેડી. 'સબરસ' તરીકે ઓળખાતું મીઠું તમામની જરૂરિયાત છે. આ જ કારણસર પાછળથી ગાંધીજીએ 1930માં 'ચપટી મીઠા' માટે આંદોલન જગાવીને સમગ્ર દેશને ચેતનવંતો કર્યો હતો. દાંડી-યાત્રાના 86 વર્ષ પૂર્વે સુરતના હિંદુ, મુસલમાન, પારસી, ખિસ્ત્રી, જૈન એમ તમામ લોકોએ મીઠાના કર વધારા સામે વિરોધ સ્વરૂપે વ્યક્ત કર્યો હતો. પ્રારંભમાં સુરતી પ્રજાએ વાટાઘાટાનો આશરો લીધો, પણ અહંમી, તુંડમિજાજી અંગ્રેજોએ પ્રજાની લાગણી અને માંગણીનો ગણકારી નહીં ત્યારે જ પ્રજાએ આંદોલન શરૂ કર્યું.
અસલ દસ્તાવેજો મુજબ તા. 29મી ઓગસ્ટ, 1844ના રોજ સુરતની સમગ્ર પ્રજાએ જન-આંલોદન શરૂ કર્યું. આ આંદોલન એટલું બધું વિસ્તર્યું કે તેને નિયંત્રીત કરવા માટે વધારાની પોલીસને બોલવવા ફરજ પડી. એ સમયે સુરતની સમસ્ત જનતાએ એક સૂરે સરકારની નીતિનો વિરોધ કર્યો. આથી કુટીલનીતિના પુરસ્કર્તા અંગ્રેજોએ આંદોલનને તોડવાના પ્રયાસો શરૂ કર્યા. જુદા-જુદા મહાજનોના વડા, ધર્મગુરૂઓને વગેરેને પત્રો લખીને પોતાના સભ્યો કે અનુયાયીઓએને આ આંદોલનથી દૂર કરવાનો આગ્રહ રાખ્યો. એ સમયે વ્હોરા લોકોના 'ધર્મગુરૂ' મુલ્લા સાહેબ તરીકે નજમુદ્દીન બીન ઝૈનુદ્દીન સાહેબ હતા. વ્હોરા લોકોને આ જન-આંદોલનથી અળગા કરવાના હેતુથી સુરતના ગવર્નરના એજન્ટ રોબર્ટ આર્બટનોટે મુલ્લા સાહેબને પત્ર લખ્યો પ્રત્યુત્તરમાં તા. 31મી ઓગસ્ટ, 1844ના રોજ મુલ્લા સાહેબે જ જડબેસલાક જવાબ આપ્યો હતો તેનો સાર નીચે મુજબ છે :
"મીઠા ઉપર કર વધારો કરવાથી અંગ્રેજ સરકારની કોઈ ખાસ આર્થિક લાભ થાય તેમ નથી. ગરીબ લોકોને તેનાથી ઘણું જ વેઠવું પડશે. પછી તે હિન્દુ હોય કે મુસલમાન કે જૈન. મને માફ કરશો હું તમારા પત્ર મુજબ મારા વ્હોરા અનુયાયીઓને આ આંદોલનથી અળગા રહેવા સમજાવી શકું તેમ નથી. કારણ કે મારા અનુયાયીઓ પણ બૃહદ સમાજનો જ એક ભાગ છે. જ્યાં સુધી સમગ્ર સમાજ અને વેપારીઓ સંતુષ્ટ નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ જ રહેશે અને મારા અનુયાયીઓ પણ સમાજની સાથે જ રહેશે..."
આજથી 167 વર્ષ પૂર્વે વ્હોરાઓના મુલ્લા સાહેબે અંગ્રેજોને જે સણસણતો જવાબ આપ્યો હતો તેવો જ જવાબ ઇમામ બુખારી જેવાને આપવા માટે હાજારો મુસ્લિમોએ અણ્ણા હજારેને સમર્થન આપીને સામાજિક એકતા અને રાષ્ટીય એકતાની મિસાલ આપી છે.