- અગ્નિપથ ફિલ્મ પછી દીવ ફિલ્મ શુટિંગ માટે હોટ લોકેશન તરીકે ઉભર્યું
- નાયડા ગુફા સહિતના સ્થળોએ બે દિવસ સુધી શુટિંગનો ધમધમાટ
આઇયા ફિલ્મના શુટિંગ અર્થે ફિલ્મ અભિનેત્રી રાની મુખરજી સહિત કલાકારોનો કાફલો આજે દિવ આવી પહોંચ્યો છે. જ્યારે અહીંની નાયડા ગુફા સહિતનાં સ્થળોએ બે દિવસ સુધી આ ફિલ્મનું શુટિંગ થનાર છે.
પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ અને ડાયરેકટર સચીન કુંદલકર નિર્મિત આઇયા ફિલ્મના શુટિંગ માટે દિવની પસંદગી કરાઇ છે. આને લઇને અભિનેત્રી રાની મુખરજી સહિતનો કાફલો આજે બપોરે ૨.૩૦ વાગ્યે દિવ એરપોર્ટ પર આવી પહોંચી અહીંની ખાનગી હોટલ અજારોમાં રોકાણ માટે રવાના થયો હતો. દિવ મ્યુઝિયમની આસપાસ અને નાયડા ગુફામાં આવતીકાલ બુધવારથી શુટિંગ શરૂ થનાર છે આ ઉપરાંત હોસ્પિટલ રોડ, ચર્ચની પાછળ પણ આ ફિલ્મના દ્રશ્યો કેમેરામાં કંડારાશે.
જ્યારે એક ગીત અને અમુક ડાયલોગ માટે રાની મુખરજી બે દિવસ દિવમાં રોકાણ કરનાર છે. દરમિયાન આ અભિનેત્રી અને ડાયરેકટર સાથે અલગ અલગ વિભાગ દિઠ ૯૦ વ્યક્તિઓનો કાફલો પણ આ શુટિંગની પૂર્વ સંધ્યાએ તમામ તૈયારીઓમાં લાગ્યો છે. બીજી બાજુ દિવની આ ખાનગી હોટલમાં અભિનેત્રી સહિત કલાવૃંદ પહોંચતા હોટલના જીએમએ આવકાર્યા હતા.
જ્યારે રાની મુખરજી સહિતની ઝલક જોવા સ્થાનિક સહિત અહીં આવેલા ટુરિસ્ટ લોકો આ હોટલ આસપાસ ઉમટયા હતા. પરંતુ તેણી આ હોટલમાંથી મોડી સાંજ સુધી બહાર ન આવતા સિનેરસિકો પાછા વળ્યા હતા. ઉલ્લેખનીય એ છે કે, સંજય દત્તના અગ્નિપથ પછી દિવ શુટિંગ માટે હોટફેવરિટ બન્યું છે.
આજે સવારે ૬ વાગ્યાથી ચક્રતીર્થ બિચથી શુટિંગ શરૂ થશે -
દિવના ચક્રતિર્થ બીચથી આ શુટિંગની શરૂઆત થશે અને ત્યારબાદ એક પછી એક લોકેશન પર કલાકારો પહોંચી સાંજે ૫ વાગ્યા સુધી શુટિંગ કાર્ય કરશે તેવું જાણવા મળ્યું છે. જ્યારે પરોઢિયે પ્રારંભના શુટિંગમાં રાની મુખરજી પણ હાજર રહેશે તેવું પણ જાણવા મળે છે.