વલસાડના કાંઠા વિસ્તારમાં મત્સ્ય વિભાગને એલર્ટ કરાયું
મુંબઈના દરિયામાં શનિવારે બે કાર્ગો જહાજની અથડામણના કારણે સર્જાયેલા નુકસાનને અંકુશમાં લેવાના એક બાજુ પ્રયાસ ચાલી રહ્યાં છે, તો બીજી તરફ દમણના કલેક્ટરે બુધવારે એક આદેશ રજુ કરી દમણના લોકોને ૧૦ દિવસ સુધી માછલી નહિં ખાવા સૂચના આપી છે. વલસાડ જિલ્લાનું તંત્ર પણ આખી પરસ્થિતિ પર સતત વોચ રાખી રહ્યું છે.
મુંબઇના દરિયામાં ૭મી ઓગસ્ટે પનામાના બે માલવાહક જહાજો એમ.એસ.સી. ચિત્રા અને એમ. વી. ખાલીજીયા -૩ ટકરાયા હતા. જેના કારણે છેલ્લાં ત્રણ દિવસથી દરિયામાં જહાજમાંથી જે તેલ ઢોલાયું હતું. તેના કારણે દરિયામાં મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાતા દરિયાજીવોને ઘણું નુકસાન થયું છે. દમણના કલેક્ટરે આજે આદેશ રજુ કરી દમણના લોકોને ૧૦ દિવસ સુધી માછલીઓ નહીં ખાવાની સૂચના આપવામાં આવી છે.
મત્સય ઉદ્યોગના અધિકારી અભિલાષા અગ્રવાલનો સંપર્ક સાંધતા તેમને જણાવ્યું કે હાલમાં દરિયો તોફાની હોવાના કારણે અને મોસમ અનુકૂળ નહીં હોવાથી આમ પણ માછીમારી દરિયો ખેડવા જતા નથી. તેથી માછીમારોને દરિયામાં નહીં જવાની કોઇ ખાસ સૂચના અપાઇ નથી.
દમણના માછીમારોનું કહેવું છે કે માછીમારો મે, જુન, જુલાઇ એમ ત્રણ મહિનામાં દરિયામાં મૌસમ ખરાબ હોવાથી તેઓ પોતાની બોટ કાંઠા ઉપર ચઢાવી લેતા હોય છે અને બોટનું સમારકામ વગેરે પ્રવૃત્તિઓ કરે છે. તેથી હાલમાં મુંબઇના દુર્ઘટનના કારણે માછીમારો માટે દરિયો નહીં ખેડવાની પ્રશાસનના સૂચનોનો કોઇ અર્થ રહેતો નથી. હવે નારીયેળી પૂર્ણિમાના દિવસે બળેવના તહેવારના દિવસે તેઓ બોટ અને સમુદ્ર નારાયણ ભગવાનની પૂજા કરી તેઓ દરિયો ખેડવા માટે રવાના થશે તેવું જણાવવામાં આવ્યું હતું.
મુંબઇમાં બે કાર્ગો જહાજ અથડાવાના બનાવ બાદ જહાજની અંદર ઓઇલના કન્ટેઇનર ઉધા વળી જતા દરિયામાં ઓઇલ ઠલવાયું હતું. તેને લઇ મુંબઇના દરિયા કિનારે ભારે મુશ્કેલ સ્થિતિ સર્જાઇ હતી. જો કે, મહારાષ્ટ્રને લાગીને આવેલા વલસાડ જિલ્લો તેમજ સંઘપ્રદેશ દમણના દરિયા કાંઠે તેની અસર થવાની સંભાવનાને લઇને તંત્રએ અગમચેતીના પગલા રૂપે કેટલીક સાવધાની દર્શાવી છે.
હાલ ગંભીર સ્થિતિ નથી
મત્સ્ય વિભાગને આ બાબતે એલર્ટ કરાયા છે અને પરસ્થિતિનો તાગ મેળવી રહ્યાં છે. હાલમાં કોઈ ગંભીર સ્થિતિ નથી. ટી.જી. બ્રહ્નભટ્ટ, એડિ. કલેક્ટર, વલસાડ