અંબાજીમાં રવિવારે અંતિમ સદ્દભાવના ઉપવાસનું સમાપન કર્યું હતું. 36 મા અંતિમ ઉપવાસ પછી તેમણે ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે આરોપ મુક્યો હતો કે, આગામી દિવસોમાં ગુજરાત વિરોધી તત્વો સક્રિય થવાના છે અને ગુજરાત સામેનો દુષ્પ્રચાર શરૂ કરી દેશે. છેલ્લા દસ વર્ષથી મુઠ્ઠીભર લોકો ગુજરાતને બદનામ કરવાનું કામ કરી રહ્યાં છે, તેઓ વધુ એક વખત આવતીકાલથી સક્રિય બનવાના છે. કારણ કે, તેમને સદ્દભાવના ઉપવાસની સફળતા હજમ થવાની નથી. પોતાના સમગ્ર ભાષણ દરમિયાન મુખ્યપ્રધાન મોદીએ કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.
સદ્દભાવના મિશન દરમિયાનનો આપ્યો અહેવાલ
મોદીએ કહ્યું હતું કે, "સદ્દભાવના ઉપવાસ એ સાત્વિક ઉપવાસ છે. તેની સફળતા રાજકીય ચશ્મા પહેરીને જોતા લોકોને સમજવી અઘરી છે." સદ્દભાવના ઉપવાસ દરમિયાન થયેલા સત્કર્મોનો અહેવાલ આપતા મોદીએ દાવો કર્યો હતો કે, આ ગાળા દરમિયાન 45 લાખ બાળકોને નાગરિકોએ ભોજન કરાવ્યું હતું. જ્યારે છ લાખ કિલોગ્રામ અનાજ ગરીબોને સદ્દભાવના દરમિયાન વિતરીત કરવામાં આવ્યું. આ અરસામાં R ચાર કરોડની રકમ ગુજરાત સરકારને કન્યા શિક્ષણ માટે નાગરિકો તરફથી દાન સ્વરૂપે મળી છે.
મોદીના કહેવા પ્રમાણે, એક લાખ કરતા વધુ લોકો પદયાત્રા કરીને સદ્દભાવના ઉપવાસમાં સામેલ થયા હતા. સદ્દભાવના કાર્યક્રમ દરમિયાન 17,000 પ્રભાત ફેરી નીકળી હતી. જેમાં લગભગ વીસ લાખ લોકોએ ભાગ લીધો હતો. મોદીએ કહ્યું હતું કે, "સપનું જનઆંદોલન બની શકે છે અને તેનું ઉદાહરણ સદ્દભાવના મિશન છે." મોદીએ કહ્યું હતુંકે, "માતાના આશિર્વાદ લઈ ઉપવાસ શરૂ કર્યા હતા આજે જગત જનનીના ચરણોમાં આવ્યો છું, વાર ઝીલવા મારી આદત છે. હું તેનાથી થાક્યો નથી અને મા જગદંબાએ સહન કરવાની તાકત આપી છે. હું ગુજરાતની તાકતનો વિશ્વને પરિચય કરાવ્યે પાર કરીશ "
સદ્દભાવના ઉપવાસની સપળતા માટે મોદીએ ગુજરાતનો આભાર માન્યો હતો. આ તકે મોદીએ ગુજરાતના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને સદ્દભાવના ઉપવાસની સફળતા અંગે સંતુષ્ટી વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા મોદીએ કહ્યું હતું કે, "ગુજરાતે કુપોષણ સામે જંગ છેડાયો છે. ગુજરાતના લોકોએ હજારો કિલોગ્રામ સુખડી- હજારો લિટર દૂધ- હજારો કિલો ડ્રાયફ્રૂટ દાનમાં આપ્યા છે. " મોદીના કહેવા પ્રમાણે, "અમે તમારી ખુશી માટે તાકત લગાવી તેમણે પોતાની ખુરશી માટે તાકત લગાવી છે. આ ફેર છે. ચોવીસ કલાકમાં જ ગુજરાતને ભાંડનારાઓ ફરી મેદાનમાં આવી જશે. કારણ કે સદ્દભાવના મિશનની સફળતા તેમને બેચેન બનાવી દેશે. ગુજરાતની એકતા-શાંતિ-સદ્દભાવનાથી મુઠ્ઠીભર લોકો બેબાકળા બની ગયા છે. ફેબ્રુઆરી મહિના દરમિયાન ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવાનું કામ કરવાનું કામ શરૂ થઈ જશે. પરંતુ, ગુજરાત દસ વર્ષના ગાળામાં આ લોકોને ઓળખી ગયું છું. ગુજરાત સત્યથી આ મુઠ્ઠી ભર લોકોને પરાસ્ત કરી દેશે. "
દિલ્હી-મુંબઈ કોરિડોરના પગલે પાટણ અને બનાસકાંઠા જિલ્લાની સિકલ બદલાઈ જશે. મોદીએ આરોપ મુક્યો હતો કે, " દસ વર્ષથી દુશ્મન દેશ જેવો વ્યવહાર થાય છે. ત્યારે આગામી દિવસોમાં મોટો દુષ્પ્રચાર થશે. પરંતુ આગામી પેઢીનું વિચારવું હોય અને આગામી પેઢીનું ઉત્થાન જોઈતું હોય તો વિકાસ જ વિકલ્પ છે. " મોદીએ ઉમેર્યું હતું કે, "ગુજરાતના નાગરિકો માટે 36 દિવસીય ઉપવાસને એળે જવા નહીં દે. ગુજરાતીઓ શાંતિ જાળવે તેવી નાગરિકો અને માતા અંબાને પ્રાર્થના."
મોદીએ કોંગ્રેસીઓ પર આરોપ મુકતા કહ્યું હતું કે, "કોંગ્રેસીઓએ માનસિક સંતુલન ગુમાવી દીધુ છે એટલે ગમે તે બોલે છે. પત્રકારો કોંગ્રેસનું બધું છાપે અને ચેનલો બધું દેખાડે, તેવી વિનંતી છે. ગુજરાતની પ્રજા શાણી છે અને તેઓ કોંગ્રેસીઓને ઓળખી ગઈ છે. સત્તા વગર કોંગ્રેસ બેબાકળી બની ગઈ છે. કોંગ્રેસીઓ માટે પણ મારા મનમાં સદ્દભાવના છે." મોદીએ વ્યંગ કરતા કહ્યું હતું કે, "હું ન હોત તો તેમણે ગુસ્સો પત્નીઓ પર કાઢ્યો હોત. ડિક્ષનેરીમાં જેટલી ગાળો છે તેટલી મારા માટે વાપરવામાં આવી છે."
મોદીએ ભાષણના અંતે બનાસ કાંઠા જિલ્લા માટે R 1700 કરોડની જાહેરાત કરી હતી. મોદીના કહેવા પ્રમાણે, હાલ ગુજરાતમાં R 1,100 કરોડના વિકાસ કામ ચાલુ છે. ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક જંગ પ્રબળ બને તેવી વકી છે.
'ભાઈજી'નો કોંગ્રેસ પર કટાક્ષ
જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝાએ પણ મંચ પર મોદીને મળીને શુભેચ્છા પાઠવી હતી, 'ભાઈજી' તરીકે જાણીતા રમેશભાઈ ઓઝાએ તેમના સંબંધોનમાં મોદીના મિશનની અશ્વમેઘ યજ્ઞની સાથે સરખામણી કરી હતી. આ સાથે તેમણે સત્કર્મના નામે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા ઉપવાસ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે ‘જ્યારે સદભાવના થાય છે ત્યારે સત્કર્મ પણ અચૂકપણે થાય છે.’ તેમના આ નિવેદનને પગલે મોદી પણ મલકી ઉઠ્યા હતા.
સદભાવના મિશન અંતર્ગત જી.એમ.ડી.સી. મેદાનમાં જુદાજુદા બે વિશાળ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં એક ડોમમાં જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા પ્રજાજનોને જાણકારી મળી રહે તે માટે આકર્ષક પ્રદર્શન માટે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.જ્યારે બીજા ડોમમાં રાજ્યની વિકાસગાથાનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.