પાલનપુરથી ૧૫ કી.મી.દુર આવેલ હસનપુર ગામે ૭૪૦ વર્ષો કરતા વધુ જુનો કિલ્લો ટેકરી પર આવેલ છે. જેને સ્થાનિક લોકો 'મોરચા' તરીકે ઓળખે છે. સરહદની રખેવાળી માટે શાહી જમાનામાં આ કિલ્લો બનાવેલ છે. તેની પરિમિતી ૨૮૬ ફુટ છે. તેની દિવાલ બે ફુટ જેટલી જાડી છે. આ ટેકરીને મેડાવાળી ટેકરી પણ કહેવામાં આવે છે. આ કિલ્લો ચંદ્રવતી ના પરમારોના સમયમાં કોઇ પરમાર રાજાઓએ બનાવેલ હશે. તેમની કુળદેવી મહાકાળીનું સ્થાનક પણ અંદર જ છે. અતિપ્રાચીન નયનરમ્ય એવી અરવલ્લીની ગિરિકંદરોની છેલ્લી હદ એટલે થરવાડની ટેકરીમાં આવેલ આ ઐતિહાસિક સ્મારકનું પુનરોધ્ધાર કરી તેને પિકનીક પોઇન્ટ તરીકે વિકસાવવા જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા પ્રોજેકટ તરીકે લઇ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવાનો ભગીરથ પ્રયત્ન કરી આ કિલ્લાની મરામત કરી તેના કાગરાં બનાવી તેને ટેરાકોટા રંગથી રંગી અંદર મહાકાળી મંદિર નર્મદા પુરીની પ્રતિમા સ્થાપી પ્રવાસન વર્ષે સુંદર ભેટ ધરી છે.