દીવથી ૧ર નોટીકલ માઇલ સુધીનાં દરિયામાં નવાબંદર, રાજપરા અને જાફરાબાદ બંદરનાં માછીમારો દ્વારા લોખંડનાં પાઇપો ગોઠવી ચોક્કસ વિસ્તાર પુરતા દોરડા અને બોયા બાંધી ડોરનેટથી ફીશીંગ કરતાં હોવાથી દીવનાં માછીમારોને જાળ નાંખવાની કોઇ જગ્યા રહેતી નથી. પરિણામે વધુ ઇંધણ બાળી મચ્છીની શોધમાં દુર જવું પડે છે.અને ક્યારેક દરિયાઇ માર્ગમાં દોરડા અને જાળ આવી જતાં હોવાથી માછીમારો વચ્ચે બોલાચાલી અને ઝઘડાનાં બનાવો પણ બની રહ્યા છે.
આમ, દીવનાં માછીમારો અસુરક્ષા અનુભવતા હોય છેલ્લા ૧ર દિવસથી નાની હોડીવાળાઓએ ફીશંગ બંધ કરી દેતાં કફોડી હાલતમાં મુકાય ગયા છે. દરમિયાન ગત તા. ૩૦-૯નાં રોજ દીવ ફીશરમેન એસો.દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સુરક્ષા આપવાની માંગણી કરી હતી.
જે અનુસંધાને પોર્ટ ઓફિસર પ્રેમચંદ સોલંકી, ચૌહાણ, ફીશરીઝ ઓફિસર શુક્લ આજણી, કોસ્ટલ પોલીસનાં ઉદય ઘોટે, ચંદરપાલ, ધનવીરસિંહએ સ્પીડ બોટ લઇ ૧ર નોટીકલ માઇલનાં દરિયામાં નિરીક્ષણ કરી નવાબંદર, રાજપરા, જાફરાબાદ બંદરનાં માછીમારોને પાઇપ,બોયા અને દોરડા કાઢી નાંખવા કડક સુચના આપી હતી. દીવનાં પુર્વ કિનારાને બાદ કરતાં પશ્ચિમ કિનારાનાં દરિયામાં રાખેલી અડચણો દૂર કરી કોઇ પણ કનડગત વગર સુરક્ષીત અવર-જવરનો દરીયાઇ માર્ગ રાખવા જણાવ્યું હતું.