છેલ્લાં ૨૦ વર્ષથી ડેઇલી વેજીસ પર કામ કરતા ૩૦ ડ્રાઇવરોનો ઉત્તરાર્ધ મુશ્કેલીભર્યો બન્યો
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના અનેક વિભાગોની સરકારી ગાડી ચલાવતા અને પોતાની અડધી જીંદગી પુરી કરનાર ચાલકોનાં જીવનની ગાડીને હવે પ્રશાસને ચલાવવાનો ઈન્કાર કરી તેઓને કાયમી કરવાનો નન્નો ભણી દીધો છે. જેને લઇ વર્ષોથી પ્રશાસનમાં અધિકારીઓની ગાડી ચલાવનાર ડ્રાઇવરો જિંદગીના ઉતરાર્ધમાં મુશ્કેલીમાં મુકાયા છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના વિવિધ પ્રશાસનિક વિભાગમાં છેલ્લા ૧૫થી ૨૦ વર્ષ સુધી ડ્રાઈવર તરીકે ડેઈલી વેજીસ પર કામ કરતાં ૩૦થી વધારે ડ્રાઈવરોમાં પ્રશાસન દ્વારા કાયમી ન કરાતાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જીલ્લા પંચાયત, સાર્વજનિક નિર્માણ વિભાગ, વન વિભાગ સહિત બીજા અનેક વિભાગોમાં ફરજ બજાવતાં કાર ચાલકોને કાયમી કરવાની માંગણીને લઈને અનેક વખત પ્રશાસક સહિત બીજા પ્રશાસનિક અધિકારીઓની સાથે રાજકીય નેતાઓના દરવાજા પર આ ડ્રાઇવરો માથા ટેકવી ચૂક્યા છે. પરંતુ તેઓની દુ:ખ ભરી દાસ્તાન સાંભળનાર હજુ સુધી કોઈ મળ્યું નથી.
આ અંગે જીલ્લા પંચાયતમાં ફરજ બજાવતાં ડ્રાઈવર રંજીત માહ્યાવંશીએ કહ્યું કે, તેઓ ૧૦ વર્ષ પહેલાં એ આશાએ સરકારી ડ્રાઈવરની નોકરી પર જોડાયા હતાં કે ભવિષ્યમાં પ્રશાસન દ્વારા કાયમી નોકરી ઉપર રાખવામાં આવશે.
પરંતુ ૧૫થી વધુ વર્ષ વીતી જવા છતાં કાયમી કરાયા નથી. ઉંમરના આખરી પડાવમાં હવે તેઓ ક્યાં જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. દાનહમાં આ વ્યથા માત્ર રંજીતની નથી, પરંતુ દિનેશ જી.પટેલ, મહેશ ચૌધરી, અમ્રત પટેલ, શૈલેષ સહિત ૩૦થી વધારે ડ્રાઈવરોની વ્યથા છે. તો બીજી તરફ દાનહ પોલીસ વિભાગ દ્વારા ૨૬ નવા ડ્રાઈવરોની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે.