સંઘપ્રદેશ દમણના પુલ દુર્ઘટનાના પીડિત વાલીઓએ સોમવારે પ્રશાસકને દુર્ઘટનામાં જવાબદાર સાત અધિકારીઓને નિયમ મુજબ કાર્યવાહી કરવા માગ કરી હતી. જાહેર બાંધકામ વિભાગના સાત જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ૩૦૪ પાર્ટ-૨ મુજબ ગુનો દાખલ કરાયો હતો. વાલીઓએ પાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નેશ ટંડેલની આગેવાનીમાં વળતર તથા સરકારી નોકરી આપવા અંગે પણ રજૂઆત કરી હતી.
નાની દમણ અને મોટી દમણને જોડતો દમણ ગંગા નદી પરનો જૂનો પુલ ૨૮ ઓગસ્ટ ૨૦૦૩ના રોજ ધરાશય થતા ૨૮ માસુમ બાળકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓ વિરુદ્ધ દમણ સેશન કોર્ટે ૨પ નવેમ્બર ૨૦૧૧ના આઇપીસી કલમ ૩૦૪ પાર્ટ-૨મુજબ ગુનો દાખલ કરવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો હતો. આ આદેશ અનુસાર ભારત સરકારના સેન્ટ્રલ સિવિલ સવિeસના રૂલ ૧૦ મુજબ ઉપરોકત જવાબદાર અધિકારીઓ ફરજ ઉપરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે તેવો નિયમ હોવાથી પીડિત વાલીઓએ તેઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગ દમણના પ્રશાસક સમક્ષ કરી છે.
દમણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નેશ ટંડેલ અને પીડિત વાલીઓએ પ્રશાસક નરેન્દ્રકુમારને આવેદન પત્ર આપીને જણાવ્યું છે કે, જાહેર બાંધકામ વિભાગના ભરત ગુપ્તા, ધીરુભાઇ પ્રભાકર અને અશોક પટેલે જેઓ હાલમાં પણ કસુરવાર હોવા છતાં સરકારી નોકરીની કરી રહ્યા હોવાથી તેઓને સસ્પેન્ડ કરવા રજુઆત કરી હતી. છેલ્લા આઠ વર્ષથી ન્યાયની અપેક્ષા સેવી રહેલા પીડિત વાલીઓએ પોતાની વ્યથા જણાવીને જરૂરી વળતર અને પરિવારના એક સભ્યને સરકારી નોકરીની સગવડ કરવામાં આવે તેવી પણ માગણી કરી હતી.
આ સાથે વધુમાં વાલીઓએ કહ્યું કે જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી નહીં થતા ભ્રષ્ટાચારની પણ ગંધ આવી રહી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.