માતાની હત્યા પાછળ મિલકત જવાબદાર છે કે કેમ તે તપાસનો વિષય
દમણના સ્વતંત્ર સેનાની લલ્લુભાઇ પટેલની ૭૦ વર્ષની પત્ની ચંપાબેનની હત્યા તેમના જ નાના પુત્ર સંદીપ દ્વારા ચાકુના ૧૯-૧૯ ઘા ઝીંકીને કરવામાં આવી હતી. આ હત્યા પાછળ મિલકત જવાબદાર હોવાનું લોકોમાં ચર્ચાયું હતું. હાલમાં જ લલ્લુભાઈની માલિકીની કરોડો રૂપિયાની જમીનનો સોદો થયો હતો અને તમામ નાણા માતાના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા હતાં. ઉઠીયાણ પુત્ર સંદીપની દાનત આ જમીનના સોદામાં આવેલા નાણાં ઉપર હતી, જેના કારણે તેણે જનેતાની કરપીણ હત્યા કરવામાં જરાપણ હીચકીચાટ થઇ નહીં. દમણ પોલીસ સંદીપના ૧૪ દિવસના રિમાન્ડમાં કઇ મિલકત અને કેટલીક મિલકત જવાબદાર છે તેની ચકાસણી કરી રહી છે.
લલ્લુભાઇ જોગીના બે મોટા પુત્રો હયાત નથી. સહુથી મોટો પુત્રનું એક માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું, જ્યારે બીજો દીલીપ મરવડ સ્થિત પોતાના નિવાસ સ્થાનમાં બેડરૂમમાં રિવોલ્વરની ગોળી પોતાને મારી આપઘાત કર્યો હતો. આ ઉપરાંત લલ્લુ જોગીનો ત્રીજો પુત્ર સંદીપ જે તેમની તમામ મિલકતનો ફક્ત એક જ વારસદાર હતો, તેણે સોફટેવર એન્જિનિયરનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. લલ્લુ જોગીના એક માત્ર વારસદાર સંદીપ ભણેલો અને અમેરિકામાં પરણીને સ્થાઇ થયો હતો, પંરતુ સમય પલટાયો અને સંદીપના પત્ની સાથે અણબનાવના કારણે ઝઘડા થતા હતા. સંદીપના ગૃહસ્થ ખોરવાતા તે છુટાછેડા લઈ દમણ માતા-પિતા પાસે રહેવા આવી ગયો હતો.
કહેવાય છે કે, કોઇ કામ નહીં હોવાથી ખાલી મગજ ખોટા માર્ગે ચઢી જાય છે, તેવી રીતે દમણમાં કામકાજ વિના માતા-પિતાના પૈસે લીલા લહેર કરતા સંદીપને હોટલ બઝિનસ તથા બિલ્ડરના ઉદ્યોગમાં ઝંપલાવવાની ઇચ્છા જન્મી હતી. જેના માટે તેણે માતા ચંપાબેન પાસે અવાર-નવાર રૂપિયાની માગણી કરતો હતો. માતા સાથે આ વાતને લઇને વારેઘડી ઝઘડાના બનાવો પણ બનતા હતા. અંતે આ કુપુત્રે માતાની હત્યા કરી દીધી હતી.
દમણ પોલીસ હાલમાં સંદીપના ૧૪ દિવસના રિમાન્ડ મેળવી લલ્લુ જોગીના તમામ મિલકત અને ચંપાબેનના બેંક એકાઉન્ટની તપાસ કરી રહી છે. જે જમીનનો સોદો થયો તેની પણ ઝીંણવટભરી તપાસ ચાલું છે. હવે પોલીસ ફાઈનાિન્સયલ બાબતે ચકાસણી કરીને પુરાવા ભેગા કરીને કોર્ટમાં ફાઇલ રજુ કરશે.