મંગળવારે બપોરે પૈસાની વ્યવસ્થા કરવા ગયા બાદ પરત ન ફરતા સંબંધીઓએ વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
વાપીના ભડકમોરામાં કરિયાણાની દુકાન ચલાવતો એક યુવાન વેપારી મંગળવારે બપોરે પૈસાની વ્યવસ્થા કરવા ગયા બાદ પરત ન ફરતા સંબંધીઓએ વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જો કે ગુમ થયેલા વેપારીએ દમણગંગા નદી નજીક પોતાનું બાઇક દુકાનમાં કામ કરતા ઇસમને આપ્યું હોવાનું બહાર આવતાં પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.
વાપી ચણોદ કોલોની સ્થિત યોગેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતો ૨૪ વર્ષિય પ્રફુલ ઉર્ફે રૂપેશ શંભુરામ નંદા ભડકમોરામાં કરિયાણાની દુકાન ચલાવે છે.મંગળવારે બપોરે ૧૨.૩૦ કલાકે પ્રફુલ નંદા અન્ય વેપારીને પૈસા આપવાની વ્યવસ્થા કરવા નિકળ્યો હતો. ત્યારબાદ ઘરે પરત ન ફરતા તેના પરિવારજનોએ ભારે શોધખોળ આદરી હતી,પરંતુ તેની કોઇ ભાળ ન મળતા આખરે બુધવારે વાપી ટાઉન પોલીસ મથકે સતિષ કાનજીભાઇએ ફરિયાદ નોંધાવી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં ગુમ થનાર યુવાન વેપારી પ્રફુલે પોતાની મોટરસાઇકલ દુકાનમાં કામ કરતા એક ઇસમને દમણગંગા નદીના કિનારે આપી હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે હાલ આ ઇસમની પુછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.