વાપીની પ્રજાને ટાઉનમાં જવા માટે હજી લાંબા સમય સુધી ગરનાળાનો જ ઉપયોગ કરવો પડશે
વાપીની વધતી વસ્તી અને ઔધ્યોગીક વિકાસને લઇ વાપીમાં વધતી જતી ટ્રાફીક સમસ્યાને દૂર કરવા વાપી પાલિકા દ્વારા રેલવે સ્ટેશનની દક્ષિણ તરફના છેડે જે ટાઇપ વિસ્તારમાં રેલ્વે ગરનાળાને અપગ્રેડ કરી રેલ્વે અંડર બ્રીજ બનાવવાની યોજના દોઢ વર્ષ અગાઉ તૈયાર થઇ હતી.
દોઢ વર્ષ પછી પણ આ યોજના માત્ર વાપી પાલિકા અને રેલવે વિભાગની ફાઇલોમાં જ હાલે તો ધૂળ ખાઇ રહી છે. એ જોતા વાપી વાસીઓએ આ ચોમાસું જ નહીં આવનારા ચોમાસા સીઝન દરમિયાન પણ ટપકતા રેલવે ગરનાળાનો કે બિસ્માર રેલવે ઓવર બ્રીજમાં લાંબો સમય ટ્રાફીકમાં વીતાવવાની ફરજ પડશે એવી પ્રતિતી થઇ રહી છે.
નોંધનીય છે કે વાપી પાલિકામાં લાંબા સમયથી ચાલતા જુથવાદને લઇ યોજનાને શરૂઆતથી જ ગ્રહણ લાગ્યું હોઇ એમ પ્રથમ કારોબારી સભ્યોએ તેમને વિશ્વાસમાં લીધા વીના ટેન્ડર પ્રક્રિયાને પૂર્ણ કરવાનાં મુદ્દે વિવાદ ઉપસ્થિત કયોં હતો.
ત્યાર બાદ નિયત રકમ રેલવેમાં ભરવાના મુદ્દે પણ વિવાદ ઉપસ્થિત થતા આ મુદ્દો શહેરી વિકાસ નિયામક ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. હવે પાલિકાએ નવી ડીઝાઇન તૈયાર કરીને રેલવેને મોકલી દીધી છે.
દોઢ કિ. મી. નો ફેરાવો બચી જશે
આ બ્રિજ જો તૈયાર થઇ જાય તો હમણા વાપીવાસી જે ઓવર બ્રીજનો ઉપયોગ કરે છે તેનો દોઢ કિ. મી. નો ફેરાવો બચી જશે. લોકો સીધા જ ને. હા. નં. ૮ પર અને હાઇવે ચાર રસ્તા સુધી જલ્દીથી સમય વેડફાયા વીના કે પેટ્રોલ-ડિઝલના બગાડ કર્યા વીના પહોંચી શકશે.
રેલવે કોરીડોરને લઇ યોજના ફરી વિલંબમાં
વાપીમાંથી પસાર થનારા રેલવે ક્રેઇટ કોરીડોરને લઇ અગાઉ મંજુર થયેલ રેલ્વે અંડર બ્રીજની ડિઝાઈનને ફરી બદલવાના સંજોગો ઉભા થયા હતા. પાલિકાએ નવી ડિઝાઈન તૈયાર કરીને રેલવેને મોકલી છે. કલ્પેશ શાહ, ઇજનેર, વાપી પાલિકા