કપરાડાના ગરીબકલ્યાણ મેળામાં જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકોરભાઈ પટેલ અને રાજકીય હોદ્દેદારોની ઉપસ્થિતિ અંગે ચીફ સેક્રેટરીને રજૂઆત
વલસાડ જિલ્લાના કપરાડા ખાતે ૧ ઓગષ્ટના રોજ રાજ્ય સરકાર દ્વારા યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં રાજકીય પક્ષોના હોદ્દેદારોની સંભવિત ઉપસ્થિતિ સામે કોંગ્રેસના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ વિરોધ દર્શાવ્યો છે. તેમણે રાજ્યના ચીફ સેક્રેટરીને એક પત્ર દ્વારા ફરિયાદ કરી સરકારી કાર્યક્રમમાં રાજકીય હોદ્દેદારો ઉપસ્થિત રહી શકે નહિ તેવા ગ્રામગૃહ અને ગ્રામ વિકાસ વિભાગના પરપિત્રના અમલની માગ કરી છે.
કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદ કશિન પટેલના નામની આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં બાદબાકી સંદર્ભે થયેલી ફરિયાદ બાદ નવી આમંત્રણ પત્રિકા છપાવી અધિકારીઓએ તેમના નામોનો ઉમેરો કરી વિવાદનો અંત આણ્યો છે. પરંતુ ગરીબ કલ્યાણ મેળાના સરકારી કાર્યક્રમમાં રાજકીય પક્ષના હોદ્દેદારોની ઉપસ્થિતિ રોકવા માટે ૨૯ જુલાઇના રોજ કોંગ્રેસના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ ચીફ સેક્રેટરીને ફરિયાદ કરવા છતાં પગલાં નહિ ભરાતા ફરીથી રજૂઆત કરી છે.
જે અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકોરભાઇ પટેલ આ સરકારી કાર્યક્રમમાં હાજર ન રહે તેવી સૂચના જારી કરવા ચીફ સેક્રેટરી સમક્ષ માગ કરી છે. સરકારી પરપિત્ર મુજબ સ્થાનિક ધારાસભ્યોએ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરવાનું દર્શાવાયુ હોવા છતાં આમંત્રણ પત્રિકામાં તેનો ઉલ્લેખ થયો નથી.
તે બાબતે પણ નોંધ લઇ ધારાસભ્યોને પ્રવચન કરવા દેવામાં આવે કે જેથી અગાઉ વિતરીત કરાયેલી આમંત્રણ પત્રિકામાંથી સ્થાનિક ધારાસભ્યોની ઉપેક્ષાને લઇ આદિવાસીઓ ઉપર થયેલી ખોટી છાપ દૂર કરી શકાય અને આ સરકારી કાર્યક્રમનું સુચારૂ આયોજન પાર પાડી શકાય તેવી લાગણી ધારાસભ્ય ચૌધરીએ વ્યક્ત કરી છે.
આ સાથે કોઇ રાજકીય પક્ષ સરકારી સિસ્ટમ પર પોતાનો પ્રભાવ પાડી શકતો નથી તેવી પ્રતિતિ કરાવવી આવશ્યક હોવાનુ તેમણે ચીફ સેક્રેટરીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે.