ભરૂચ અને અંકલેશ્વરમાં માનવી અને પશુઓ ટ્રાન્સફોર્મસથી સુરક્ષિત અંતર કેળવી શકે તે માટે પોલ ટાઇટ ફેન્સિંગ કરવાનો નિર્ણય
ભરૂચ અને અંકલેશ્વરમાં ખુલ્લા ટ્રાન્સફોમર્સના કારણે આસપાસ લારી ગલ્લા, દુકાનો ધરાવતાં લોકો તેમજ મુંગા ઢોરોને વીજકરંટ લાગવાના સંભવિત ખતરા સામે દિવ્યભાસ્કરે વીજકંપનીને અહેવાલના માધ્યમથી અવગત કરાવતાં વીજકંપનીએ બંને શહેરોમાં ખુલ્લા ટ્રાન્સફોમર્સનો સર્વે કરાવી તેને ફેન્સિંગ કરવાનો નિર્ણય લઇ કામગીરી શરૂ કરી દીધી છે.
દક્ષિણ ગુજરાત વીજકંપની દ્વારા ભરૂચ અને અંકલેશ્વરમાં વીજ વિતરણ માટે વિવિધ સ્થળોએ લગાવવામાં આવેલાં અને ખુલ્લી હાલતમાં રહેલાં ટ્રાન્સફોમર્સથી અકસ્માત થવાના સંભવિત ખતરા સામે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. લોકોની સલામતીને પ્રાધાન્ય આપી વીજ કંપનીએ બંને શહેરોમાં ખતરા રૂપ ટ્રાન્સફોમર્સનો સર્વે કરાવી તેને ફેન્સિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભરૂચના હાર્દ સમા શીતલ સર્કલ નજીક આવેલાં ખુલ્લા ટ્રાન્સફોર્મરને ફેન્સિંગ કરી વીજ કંપનીએ નિર્ણયને અમલી બનાવી દીધો છે.
ભરૂચ શહેરમાં નગરપાલિકા કચેરી નજીક આવેલાં શોપિંગ સેન્ટર પાસે આવેલાં ટ્રાન્સફોમર્સની આસપાસ લારી ગલ્લાં તેમજ દુકાનો ધમધમે છે, આવા સંજોગોમાં ટ્રાન્સફોર્મરમાં કોઇ ક્ષતિ સજૉઇ તો જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. તેવી જ રીતે સર્કલ નજીક ટ્રાન્સફોર્મરની આસપાસ રોજિંદા હજારો લોકોની અવરજવર રહે છે. નગરપાલિકા કચેરી તથા અન્ય સ્થળોએ ટ્રાન્સ્ફોર્મર ખુલ્લી હાલતમાં હોવાથી અકસ્માતનો ભય સતત ટોળાતો રહે છે.
ભરૂચ અને અંકલેશ્વરમાં કેટલાક સ્થળોએ શાળા, કોલેજો નજીક પણ ટ્રાન્સ્ફોર્મર જીવતા બોમ્બની ગરજ સારી રહ્યાં છે. ખુલ્લા ટ્રાન્સફોમર્સ જીવતા બોંબ બની જાનહાનિ નોંતરે નહિ તે માટે વીજ કંપનીએ તેને ફેન્સિંગ કરવાની પોલ ટાઇટ ફેન્સિંગ તરીકે ઓળખાતી કામગીરી શરૂ કરી દીધી છે.
પોલટાઈટ ફેન્સિંગથી ટ્રાન્સ્ફોર્મર અને ખુલ્લી પેટીને લોખંડની એંગલથી સુરક્ષિત કરી દેવામાં આવે છે. જેના કારણે ટ્રાન્સ્ફોર્મર ધરાવતા વીજપોલ નજીક કોઈ ફરકી શકતું નથી. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સુત્રોના જણાવ્યા અનુસાર અંકલેશ્વરમાં પોલ ટાઈટ ફેન્સિંગની ૮૦ ટકાથી વધારે કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે જ્યારે ભરૂચમાં કાર્યવાહી ચાલુ છે.