કોસંબાની પોસ્ટઓફિસના કર્મચારીએ ચોરીની આશંકાથી મતા ઘરે લઇ ગયા હોવાથી તસ્કરોને હાથમાં કંઇ ન આવ્યું
કોસંબામાં કાળીચૌદશની રાત્રિએ તસ્કરોએ સરકારી પોસ્ટ ઓફિસમાં ઘરફોડ ચોરી કરી પોસ્ટ ઓફિસની તિજોરીઓ મોટી કેસ મેળવવાની આશાએ તોડી હતી. પરંતુ ચોરીની આશંકાએ પોસ્ટ ઓફિસનો કર્મચારી ૬૭ હજારની મતા ઘરે સાચવી રાખી હોય. તિજોરીમાંથી કાંણી પઈ પણ ન મળતાં તસ્કરોનું મુહૂર્ત એળે ગયું હતું.
આ અંગે પોલીસ સૂત્રો કોસંબા પશ્ચિમ વિભાગમાં રેલવે ટ્રેકને અડીને આવેલી પોસ્ટઓફિસમાં કાળીચૌદસની રાત્રે તસ્કરોએ ધાપ મારી હતી. તસ્કરોએ પોસ્ટઓફિસનો પાછળનો દરવાજો તોડી પોસ્ટઓફિસમાં પ્રવેશ કર્યો હતો અને પોસ્ટ ઓફિસના તમામ કબાટ, ડ્રોઅર તોડી તમામ સામાન રફેદફે કરી નાંખ્યો હતો અને પૈસાની શોધખોળ કરી હતી. આટલેથી ન અટકતાં સાધન સજ્જ તસ્કરોએ પોસ્ટ ઓફિસના પાછળના ભાગમાં રાખવામાં આવેલી બે ભારેખમ તિજોરી હથોડા વડે તોડી નાંખી હતી અને રૂપિયા શોધવાનો પ્રયાસ કર્યો હતો.
આટલી મોટી બે તિજોરી તોડવા છતાં તેમના હાથમાં કંઇ આવ્યું ન હતી. નશિબ સંજોગે પોસ્ટઓફિસનો કર્મચારી જમા થયેલી ૬૭,૦૦૦ રૂપિયાની રકમ પોતાના ઘરે લઈ ગયો હતો. આથી તસ્કરોને તિજોરીમાંથી પણ કંઈ જ હાથ લાગ્યું ન હતું અને તસ્કરોનું મુહૂર્ત બગડ્યું હતું. આ અંગે પોસ્ટ માસ્તર જગદીશ ચૌધરીએ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
તસ્કરોનું શુભ મુહૂર્ત બગડ્યું
પોલીસ બેડામાં એવી ચર્ચા થઈ રહી છે કે દિવાળીના આગલા દિવસે કાળી ચૌદસની રાત તસ્કરો ચોરો લૂંટારુઓ માટે શુભ માનવામાં આવે છે. મોટાભાગના રિઢા ચોર કે લૂંટારુઓ આ રાત્રે પોતાના ધંધાનું મુહૂર્ત કરે છે. તેમાં પણ કોઇ સ્થળે ચોરી કરે અને ત્યાં કંઇ ન મળે તો તસ્કરો આ મુહૂર્ત બગડ્યું હોવાનો અનુભવ કરે છે. ત્યારે કોસંબા પોસ્ટ ઓફિસમાં તિજોરી તો તોડી કાઢી હતી, પણ તેમાં તસ્કરોના હાથમાં કંઇ જ ન આવતાં ચોરોનું આખું વર્ષ બગડશે, તેવી ચર્ચા થઈ રહી હતી.