ઈજનેરોની ટીમે શુક્રવારે શકિતનાથ ફાટકની મુલાકાત લઈ સીમાંકન કર્યું
ભરૂચ અને દહેજ વચ્ચે નંખાય રહેલી બ્રોડગેજ રેલવે લાઈન ઉપર શહેરમાં નિર્માણ પામનારા ત્રણ ઓવર અને બે અંડર બ્રિજ માટે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. શુક્રવારે ઈજનેરોની ટીમોએ શહેરના શકિતનાથ ફાટક નજીક માપણી કરી સિમાંકન કર્યું હતું.
ઔદ્યોગિક દ્રષ્ટીએ વિકાસની હરણફાળ ભરી રહેલા દહેજને દેશના અન્ય શહેરો સાથે રેલ માર્ગે જોડવા માટે નેરોગેજ લાઈનને બ્રોડગેજ લાઈનમાં પરિવર્તીત કરવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અમલી બનાવાયો છે. બ્રોડગેજ લાઈન શહેરમાં વિઘjરૂપ ન બને તે માટે કોંગી અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને રાજ્ય સભાના સાંસદ અહેમદભાઈ પટેલે રેલવેમંત્રી મમતા બેનરજીને રજુઆત કરી હતી.
જેમાં રેલવે મંત્રાલયે અંદાજીત ૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચથી શહેરમાં ત્રણ ઓવરબ્રિજ અને બે અંડરબ્રિજ બનાવવાની મંજુરી આપી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની ભાગીદારીથી નિર્માણ પામનારા બ્રિજના સંદર્ભમાં તાજેતરમાં રાજ્ય સરકારે તેના હિસ્સામાં આવતા ૨૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી દીધી હતી.
બ્રિજના નિર્માણ માટે ભંડોળ મંજુર થઈ જતા તેની કાર્યવાહી આગળ ધપી છે. શુક્રવારે ભરૂચના શકિતનાથ રેલવે ફાટક ખાતે ઈજનેરોની ટીમે અંડરબ્રિજના નિર્માણ માટે સર્વેની કાર્યવાહી હાથ ધરી હતી. ઈજનેરોએ સ્થળની માપણી કરી જરૂરી સીમાંકન કર્યું હતું.