નવસારીની નગરપાલિકામાં કાયમી કર્મચારીઓની ઘટ માટે લડત જારી રખાશે
રાજ્યની તમામ નગરપાલિકાના કર્મચારીઓને છઠ્ઠા વેતન પંચનો લાભ મેળવવા રાજ્યવ્યાપી આંદોલન છેડાયું હતું. આ મુદ્દે મુખ્યમંત્રીએ અંતે મંજુરી આપી દીધી છે. તેમજ પાલિકામાં કાયમી કર્મચારીઓની ઘટ મુદ્દે લડત જારી રાખવા નવસારીમાં મળેલી એક પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી.
આ બેઠકમાં માહિતી આપતા નિવૃત્ત કર્મચારી મંડળના મહામંત્રી ચીમનભાઈ રાઠોડે જણાવ્યું કે મોડે મોડે સરકારે ૪૫ ટકા મહેકમ ખર્ચ ધરાવતી પાલિકાઓના કર્મચારીઓને છઠ્ઠા વેતન પંચનો લાભ આપવાની જાહેરાત કરતા કર્મચારીઓએ તેમનું આંદોલન સમેટી લીધું હતું. જોકે રાજ્ય સરકાર હવે ૪૫ ટકાને બદલે ૪૮ ટકા મહેકમ ખર્ચ ધરાવતી પાલિકાઓના કર્મચારીઓને છઠ્ઠા વેતનપંચનો લાભ આપવાની જાહેરાત કરી છે.
નવસારી નગરપાલિકા ખાતે આજે મોડી સાંજે બોલાવેલી પત્રકાર પરિષદમાં ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળના જિલ્લા પ્રભારી અરવિંદ વર્માએ ઉપરોકત જાહેરાત કરતા જણાવ્યું હતું કે કર્મચારીઓને છઠ્ઠા વેતન પંચનો લાભ આપવાની દરખાસ્ત ઉપર મુખ્યમંત્રીએ પણ તાત્કાલિક મંજુરીની મહોર મારી દેતા કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારે કરેલી જાહેરાત મુજબ નગરપાલિકામાં છઠ્ઠા વેતનપંચ લાભ આપવાનો વિષય જે તે નગરપાલિકાની આર્થિક સક્ષમતા ઉપર આધાર રાખે છે. જે નગરપાલિકા આર્થિક રીતે સક્ષમ હોય તે નગરપાલિકા સામાન્ય સભામાં ઠરાવ કરીને વિધિવત રીતે રાજ્ય સરકારને દરખાસ્ત કરે તો નગરપાલિકા નિયામક દરખાસ્ત ચકાસીને આર્થિક સક્ષમતા જણાય તો પાલિકાને છઠ્ઠા વેતનપંચનો લાભ આપવાની મંજુરી આપે છે. આ પગારપંચના લાભ આપવામાં જે વધારાનો ખર્ચ થાય તે ચૂકવવાની સંપૂર્ણ જવાબદારી જે તે પાલિકાની હોય છે.
નિવૃત્ત કર્મચારી મંડળના મહામંત્રી ચીમનભાઈ રાઠોડે મહેકમ ઘટ વિશે તેમની લડત જારી હોવાનું જણાવતા વધુમાં ઉમેર્યું હતું કે નવસારી પાલિકામાં ૪૯૯ કાયમી કર્મચારીઓની મહેકમ મંજુર છે.
નવસારી પાલિકામાં ૨૮૨ કર્મીની ઘટ
નવસારી પાલિકામાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં માહિતી આપતાં કર્મી મંડળના અરવિંદભાઈએ જણાવ્યું કે નવસારી પાલિકામાં કાયમી કર્મચારીઓની મંજુર મહેકમ પૈકી ૨૮૨ કર્મચારીઓની ઘટ છે. નગરપાલિકા નિયામકને આ બાબતને રજુઆત કરતા તેમણે ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો.
વાસ્તવમાં તો મંજુર થયેલી કાયમી જગ્યા માટે નગરપાલિકા નિયામકની મંજુરીની જરૂર જ નથી. આ જગ્યા ભરવા માટે શાસક પક્ષની બોર્ડનો અબાધિત અધિકાર છે. જોકે એક યા બીજા કારણસર શાસકો આ વાત સમજવા તૈયાર નથી. સરકારના ૨૦ ટકા કાપને ધ્યાનમાં રાખીને પાલિકાનું બોર્ડ બાકી જગ્યાઓ ભરી શકે છે.