ગોલખદાન પેટીની આવકની વહેંચણીનો ટ્રસ્ટી અને પૂજારીઓ વચ્ચેનો વિવાદ
બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિરના તપોધન પુજારી મંડળે શહેરમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની વિરુદ્ધમાં ભારે સૂત્રોચ્ચાર સાથે એક રેલીનું આયોજન કર્યું હતું. હવે સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને તપોધન પુજારી મંડળનો ગોલખદાન પેટીની આવકમાંથી ટકાવારી બાબતનો ઝઘડો રસ્તા ઉપર આવી ગયો છે. રેલીમાં પુજારીઓ તથા તેમના પરિવારજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિર સમગ્ર ગુજરાતભરમાં સુપ્રસિદ્ધ છે. આ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ હોય દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવે છે. એમાં પણ પવિત્ર શ્રાવણ માસમાં તો દૂર દુરના ગામોમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ-દર્શનાર્થીઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. લોકોના કામો પણ થાય છે અને લોકોની શ્રદ્ધા પણ એટલી જ છે પરંતુ હમણાં છેલ્લા કેટલાક સમયથી મંદિરમાંની ગોલખદાન પેટીની આવકમાંથી મંદિર ટ્રસ્ટ અને પુજારી મંડળ વચ્ચે વહેંચવામાં આવતા પૈસાની ટકાવારી બાબતે ઝઘડા ચાલે છે અને કોર્ટમાં કેસ પણ ચાલે છે.
ચેરિટી કમશિ્નરની કચેરીમાં ચાલેલા કેસના ચૂકાદામાં મંદિરમાં આવતી તમામ આવક ટ્રસ્ટે લેવી અને પુજારીઓને વારા પ્રમાણે R ૫૦૦ ચૂકવવા. જેમા અગાઉ ગોલખદાન પેટીની આવકમાંથી પુજારી મંડળને ૬૭ ટકા તથા સોમનાથ મંદિર ટ્રસ્ટને ૩૩ ટકા હિસ્સો વહેંચવો એવું હતું. જેમાં મંદિર ટ્રસ્ટને ૩૩ ટકા રકમ આવકમાંથી વહીવટ કરવા પૈસા ઓછા પડતા હોય મંદિર ટ્રસ્ટે વધુ રકમની માંગણી કરતા ચેરિટી કમશિ્નરે આ હુકમ કર્યો હતો કે પુજારીદીઠ વારા પ્રમાણે R ૫૦૦ આપવા અને બાકીની તમામ આવક મંદિર ટ્રસ્ટે લેવી. પુજારી મંડળે આ હુકમ સામે નવસારી ડિસ્ટિ્રકટ કોર્ટમાં અપીલ કરી હતી જે અંગેનો કેસ હજુ ચાલે છે.
અગાઉની સમજુતી મુજબ ગોલખદાન પેટીની આવક ટ્રસ્ટીઓ અને પુજારીઓની સંયુક્ત સહીથી બેંકમાં તમામ પૈસા મુકવામાં આવે છે. જેથી મંદિરના પુજારીઓની આવક હાલમાં સદંતર બંધ છે, જેને કારણે ત્રણ-ચાર દિવસ અગાઉ મંદિરના ગર્ભગૃહમાં પુજારીઓ સિવાયના લોકોને જતા અટકાવવા મંદિર ટ્રસ્ટે સિકયુરિટી મુકી હતી. સામે પક્ષે પુજારી મંડળની બહેનોએ મંદિર સંકુલમાં મંદિર કાર્યાલય પાસે ભજનો ગાઈ એક દિવસ સદ્ભાવના ઉપવાસ રાખ્યા હતા તેમજ શનિવારે પુજારી મંડળે એક મહારેલીનું આયોજન કર્યું હતું.
સોમનાથ મંદિરથી નીકળેલી આ રેલીમાં હર હર મહાદેવ, ઠોકી બેસાડેલા ટ્રસ્ટીઓને દૂર કરો જેવા સૂત્રોચ્ચાર, બેનરો સાથે પુજારીઓ, મહિલાઓ, બાળકો સહિત મોટી સંખ્યામાં જોડાયા હતા. જય સોમનાથના નાદ સાથે આ રેલી ગૌહરબાગ થઈ સ્ટેશન રોડ થઈ ગંગામાતા મંદિર પાસે પહોંચી હતી. લોકો પણ હવે તો આ વિવાદનો સુખદ અંત આવે એવુ ઈચ્છી રહ્યા છે. જેનાથી મંદિરની પ્રતિષ્ઠા, પવિત્રતા જળવાયેલી રહે.