વીઆઇપી સરકિટ હાઉસમાં રેસ્કયૂ દરમિયાન અજગરે જીવદયા પ્રેમીને ભરડો લેવાનો પ્રયાસ કર્યા
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આવેલાં વીઆઇપી સિર્કટ હાઉસના પટાંગણમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રોપાયેલાં આસોપાલવના વૃક્ષમાં મહાકાય અજગર ફસાઇ જવાની મંગળવારે રાતે બનેલી ઘટનાથી પંથકમાં કૌતુક સજૉયું હતું. બનાવના પગલે દોડી આવેલાં જીવદયાપ્રેમીઓએ ભારે જહેમત બાદ ફસાયેલાં અજગરને બહાર કાઢી સુરક્ષિત સ્થળે છોડી મુકયો હતો પરંતુ અજગરના રેસ્કયુ ઓપરેશન દરમિયાન એક જીવદયાપ્રેમીને અજગરે દંશ દીધો હતો.
મંગળવારે રાતના સમયે કેવડિયાના વીઆઇપી સિર્કટ હાઉસના પટાંગણમાં મહાકાય અજગરે દેખા દેતાં દોડધામ મચી ગઇ હતી. સમગ્ર ઘટનામાં અજગર જે વૃક્ષ પર ફસાયો હતો તે વૃક્ષને રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રોપવામાં આવ્યું હતું. બનાવની જાણ થતાં જીવદયા પ્રેમી બાલકૃષ્ણ રાણા દોડી આવ્યાં હતાં પરંતુ અજગર આક્રમક મિજાજમાં હોવાથી રેસ્કયુ ઓપરેશન દિલધડક બની ગયું હતું. ગુસ્સે ભરાયેલાં અજગરે બાલકૃષ્ણ રાણાને દંશ દેતાં દોડધામ મચી ગઇ હતી. આખરે અજગરને હેમખેમ બચાવી લઇ તેને જંગલ વિસ્તારમાં સલામત સ્થળે છોડી દેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
રાજ્યના મુખ્યમંત્રી સહિતના મહાનુભવો વીઆઇપી રેસ્ટ હાઉસમાં રોકાણ કરતાં હોય છે ત્યારે સર્કિટ હાઉસના પટાંગણમાં અજગરની હાજરીથી ફફડાટ ફેલાયો હતો. બાલકૃષ્ણ રાણાએ જણાવ્યું હતું કે, અજગરની લંબાઇ ૮ ફુટ જેટલી અને વજન ૧પ કિલોથી વધારે છે. અજગરને બચાવી તેને જંગલમાં છોડી દેવામાં આવ્યો છે.