મુંબઇથી વાઘા બોર્ડર તરફ જવા માટે નીકળેલી ભારત પાકિસ્તાન શાંતિયાત્રા અમન કે બઢતે કદમ શુક્રવારે વાપી તેમજ વલસાડ ખાતે આવી પહોંચી હતી. જ્યાં તેનું ઉષ્માભેર સ્વાગત કરાયુ હતુ.
ભારત પાકિસ્તાન શાંતિયાત્રાના ગુજરાતના સંયોજક મહેશ કોઠારી તથા વાપીના જાબીરભાઇ બોગા, રિસભ જૈન, મહિલા કોંગ્રેસના કાર્યકર મનીષા ગોસ્વામી અને નિમિશા પરમાર દ્વારા મહારાષ્ટ્ર બોર્ડર પર યાત્રિઓનું શુક્રવારે બપોરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
વઘઇ સાપુતારાના બોરપાડાની હનુમાન યુવક મંડળ દ્વારા રજૂ કરાયેલા ડાંગી નૃત્યને તમામ યાત્રિઓએ ભરપુર પ્રશંસા કરાઇ હતી. આ યાત્રા ૨૮મી જુલાઇએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અશોક ચૌહાણે લીલી ઝંડી બતાવી મુંબઇના મણીભવનથી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે મેગ્શેષ એવોર્ડ વિજેતા લખનૌના સંદિપ પાંડેએ વકતવ્ય આપતા જણાવ્યું કે, બંને દેશોમાં રહેતા સામાન્ય નાગરિકો તેમજ એકબીજાના કુટુંબીજનોને આવવા જવાની પાબંદી છે. ઉપરાંત બંને દેશો સુરક્ષા માટે પરમાણુ બોમ્બ પાછળ નાણાંનું આંધણ કરી રહ્યા છે. સલામતી પરમાણુ બોમ્બમાં નથી પરંતુ સૌહાર્દપૂર્ણ વાતાવરણ સર્જી મૈત્રીયુક્ત વ્યવહાર કરવામાં છે.
હથિયારોમાં પૈસા ખર્ચવાના બદલે હજારો ગરીબોના ઉત્થાન માટે આ નાણાંનો ખર્ચ થાય તો સૌથી મોટી ગરીબીની સમસ્યા હલ થઇ શકે તેમ છે. તેમણે અમેરિકાની બેવડી નીતિ સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, ભારત અને પાકિસ્તાનને અમેરીકા શસ્ત્રો વેચે છે. જેનો લાભ અમેરીકાને જ મળે છે.
જેથી બંને દેશોએ એકબીજા સાથે હળીમળીને આ કાશ્મીર અને આતંકવાદ સહિતના પ્રશ્નો ઉકેલવા જોઇએ.
આ પ્રસંગે યાત્રામાં લાવવામાં આવેલા કળશમાં વલસાડની માટી શહેરીજનોએ નાંખી હતી. જે કળશ પાકિસ્તાન મોકલવામાં આવશે. આ સાથે પાકિસ્તાનથી નિકળેલી યાત્રા દ્વારા પણ ત્યાંના શહેરોની માટી ભારત લાવવામાં આવશે તેવું સંદીપ પાંડેએ જણાવ્યું હતું.