વેડછાની સીડ ફાર્મની ૧૦ હેકટર જમીનનો સરકારની જાણ બહાર દસ્તાવેજ કરાયાની ફરિયાદ
નવસારીથી દસેક કિલોમીટર દૂર આવેલા વેડછા ગામે આવેલી ૧૦ હેકટર (૪૦ વીઘા) સરકારી સીડ ફાર્મની જમીન ખોટા દસ્તાવેજ બનાવી વેચી મારવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ અંગે જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ પણ થઈ છે.
આ અંગે મળતી માહિતી તથા દાખલ થયેલી ફરિયાદ મુજબ જલાલપોર તાલુકાના વેડછા ગામે બ્લોક નંબર ૧૦૬૫વાળી સરકારી સીડ ફાર્મની જમીન આવેલી છે. આ જમીન અંદાજે ૧૦ હેકટર જેટલી છે. સને ૧૯૫૬ અગાઉ આ જમીન ખાનગી માલિકીની હતી. સને ૧૯૫૬માં સરકારે આ જમીન સંપાદન કરી હતી. સંપાદન બાદ ધારાધોરણ મુજબ વળતર પણ ચૂકવાયું હતું. આમ છેલ્લા ઘણાં વરસોથી આ જમીન સરકારી હસ્તક જ હતી અને તેમાં સરકારના કૃષિ વિભાગનું સીડ ફાર્મ તૈયાર કરાયું હતું.
આ સરકારી સીડ ફાર્મની જમીન અંગે તાજેતરમાં ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. ભૂતકાળમાં સંપાદન અગાઉ આ જેમની જમીન હતી તેમના એક વારસદાર હિતેશ મનુભાઈ દેસાઈ તથા તેની માતા શોભનાબેન દેસાઈએ આ જમીન નવસારીના એક શખ્સ વિટ્ઠલ કાનજીને વેચી મારી દસ્તાવેજ કરી દીધો હતો. આ જમીન વેચાઈ ગયાની જાણકારી બહાર આવતા સરકારે તપાસ શરૂ કરી હતી. તપાસમાં આ જમીનના મામલે હાઈકોર્ટમાં ભૂતકાળમાં કેસ થયો હતો અને તેનો હુકમ સરકારના પક્ષમાં જ આવ્યો હતો. આમ જમીન સરકારી જ હોવા છતાં ખાનગી પક્ષકારોએ લે-વેચ કરી દીધી હતી.
તપાસ દરમિયાન સરકારી સીડ ફાર્મની ૧૦ હેકટર જમીન ખોટા દસ્તાવેજ બનાવી વેચી મરાયાની માહિતી મળતા જલાલપોર પોલીસ મથકમાં આઈપીસી ૪૬૫, ૪૬૭,૪૬૮, ૪૭૧, ૧૨૦બી હેઠળ ફરિયાદ થઈ છે. વેડછાના ગ્રામસેવક અને સીડફાર્મના કર્મચારી હમીદ કડીવાલાએ જમીનની લે-વેચ ખોટા દસ્તાવેજના આધારે કરનારા હિતેશ મનુ દેસાઈ અને તેની માતા શોભનાબેન દેસાઈ તથા નવસારીના વિટ્ઠલ કાનજી સામે ફરિયાદ થઈ છે. આ ફરિયાદ અંગે જલાલપોર પીઆઈ એમ.આર. ચાવડાએ જણાવ્યું કે ફરિયાદ અંગે પોલીસ વિવિધ બાબતોની ચકાસણી હાલ કરી રહી છે અને આગામી દિવસોમાં આરોપીઓ સામે કાર્યવાહી થશે. હાલ પોલીસે તેમની તપાસ શરૂ કરી છે.
સરકારી જમીનના ખોટા દસ્તાવેજ બનાવવાની જેમની સામે ફરિયાદ થઈ છે એ હિતેશ મનુભાઈ દેસાઈ અને તેની માતા શોભનાબેન દેસાઈ હાલ તો વલસાડ રહે છે. વરસો અગાઉ તેમના પૂર્વજો વેડછા નજીકના ખારા અબ્રામા ગામે રહેતા હતા અને તેમની માલિકીની જમીન વેડછા ગ્રામપંચાયતના હદ વિસ્તારમાં આવેલી હતી. આ જમીન રેલવેની પશ્ચિમે છે અને તેજ જમીન સરકારે કૃષિ માટે સંપાદન કરી હતી.
સરકારી રેકર્ડમાં કોના નામ ?
વેડછાની સરકારી સીડ ફાર્મની જે જમીનનો ખોટો દસ્તાવેજ કરી વેચી દેવાની ફરિયાદ થઈ છે તેની કેટલીક માહિતી પણ મળી છે. એવું પણ જાણવા મળ્યું છે કે સરકારે આ જમીન સંપાદન કરી અને વળતર પણ ચૂકવી દેવાયું છતાં સરકારી રેકર્ડમાં મૂળ માલિકના નામો જ રહી ગયા હતા. ભૂતકાળમાં મૂળ માલિકોના નામો દૂર થયા ન હતા. આ બાબતને લઈને જમીન વેચાઈ જવામાં સરળતા રહી હતી.