સરકાર દ્વારા ખેડૂતોની ભારોભાર ઉપેક્ષા, ઉદ્યોગપતિઓને જમીન આપવા મુદ્દે વિરોધ જમીન સંપાદન અંગેનું નવું બીલ પાસ ન થાય ત્યાં સુધી નવસારી જિલ્લામાં કોઈપણ જમીન સંપાદનની કાર્યવાહી ન કરવા દેવા ખેડૂત સમાજે ઠરાવ કર્યો છે.
તાજેતરમાં નવસારી ગ્રીડ સ્થિત બાગાયત મંડળના ગોડાઉન સ્થળે નવસારી-જલાલપોર તાલુકા ખેડૂત સમાજની અગત્યની બેઠક મળી હતી. બેઠકમાં સરકારની ખેડૂતોની ઉપેક્ષા કરી ઉદ્યોગ તરફી નીતિનો ભારે વિરોધ કરાયો હતો. ખેતી અને પશુપાલનને બચાવવા સરકારની આ નીતિનો સામૂહિક રીતે પ્રતિકાર કરવા અનુરોધ કરાયો હતો. ખેતીની જમીનને ઉદ્યોગપતિઓના શરણે ધરી દેવાનો વિરોધ કરાયો હતો.
સૌથી આકરો વિરોધ જમીન સંપાદનની ગતિવિધિ સામે થયો હતો. જે રીતે સરકાર જમીન સંપાદન કરવાની નીતિ અખત્યાર કરી રહી છે તે યોગ્ય ન હોવાનું જણાવાયું હતું. બેઠકમાં જણાવાયું કે જમીન સંપાદન કરવાના કાયદાઓ ભારત સરકારે બનાવ્યા છે. તેમાં હાલમાં ચાલતા ખેડૂતોના આંદોલનનો મિજાજ પારખી વડાપ્રધાને જમીન સંપાદનના કાયદાઓ બાબતે ખેડૂતોના હક્ક, અધિકારીને ધ્યાનમાં રાખી આગામી સંસદની બેઠકમાં સુધારાઓ કરવાની બાંયધરી આપી છે. આ સંજોગોમાં નવું બીલ સંસદમાં પાસ ન થાય ત્યાં સુધી નવસારી જિલ્લામાં કોઈપણ જમીન સંપાદનની કાર્યવાહી ન કરવા દેવા સભાએ સવૉનુમતે ઠરાવ્યું હતું.
બેઠકમાં સુમંતરાય નાયક, નટુભાઈ નાયક, સી.પી. નાયક, રમેશભાઈ પટેલ, અમરતભાઈ પટેલ, સંજય પટેલ, દિપક પટેલ, હરેશ વશી સહિત અનેક ખેડૂત અગ્રણીઓ અને વિવિધ મંડળીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.