- ‘આય ટૂ હેવ અ ડ્રીમ’, ‘ગે’ કમ્યૂનિટી પર બનશે ફિલ્મ - વાપી આવેલા રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે સમલૈંગિક સંબંધ વિશે હળવા મને વાતો કરી
સમગ્ર દુનિયામાં સમલૈગિંકતા સંબંધ વિશે ગેરમાન્યતા પ્રવર્તે છે. સમાજથી ઉપેક્ષિત આવા સંબંધ ધરાવનારની સત્ય હકીકત શું છે તે ઉજાગર કરવા અને એક સંદેશ આપવા માટે મારા જીવન કવન પર આધારિત અંગ્રેજી મુવી બની રહી છે. જેનું ટાઇટલ છે ‘આય ટૂ હેવ અ ડ્રીમ’. વાપીમાં યોજાનારા શાહી લગ્નમાં હાજરી આપવા પૂર્વે રાજપીપળાના યુવરાજ અને જેમણે સમગ્ર દુનિયા સમક્ષ સજાતીય સંબંધ હોવાનું એકરાર કરનાર માનવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું.
વાપીના હિંમતસિંહ જાડેજાની સુપુત્રી રાજેશ્વરી કુંવરબાના લગ્ન પ્રસંગે વાપી આવેલા રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, સજાતીય સંબંધ વિશે સમાજમાં અનેક ગેરમાન્યતા પ્રવર્તી છે અને આ સંબંધને આજે પણ સ્વીકારવામાં આવતો નથી. સજાતીય સંબંધ માટે સત્ય હકીકત શું છે? સમાજને વ્યક્તિગત દ્રષ્ટિકોણથી દૂર કરવા અને સાચી હકીકતનો ખ્યાલ આવે તે માટે મારા જીવન પર આધારિત ફિલ્મ બનાવવામાં આવી રહી છે. જેનું નિનિર્દેશન રાજપીપળાના મહારાજ સાહેબના કાકા સુરેશ્વરસિંહ ગોહિલ કરશે. જેમણે ડોકયુમેન્ટરી ફિલ્મમાં રાષ્ટ્રપતિના હસ્તે ગોલ્ડમેડલ મેળવ્યો છે. આ ફિલ્મ થકી સમગ્ર વિશ્વમાં ‘ગે’ કોમ્યુનિટિને નડતી સમસ્યાઓ અને તેમના સપના અને વિચારોને રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ અંગ્રેજીમાં બનશે, ત્યારે દુનિયાના મહત્તમ દેશોમાં પ્રદર્શિત કરી શકાશે.
યુવરાજ માનવેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું કે, જ્યારે આ ફિલ્મના વિચાર વિશે ફેસબુક પર મુકવામાં આવ્યો તો દેશ નહીં પરંતુ વિદેશોમાંથી પણ અનેક અભિપ્રાયો પ્રાપ્ત થયા છે. જેમને આ ફિલ્મ માટે તમામ પ્રકારની મદદ આપવાની તૈયારી દર્શાવી છે. આ ફિલ્મને હોલીવુડના કલાકારોની સાથે હિન્દી ફિલ્મ જગતની સેલીના જેટલી અને સોમૈયા જેવી નાયિકા પણ મદદ માટે આગળ આવી છે. મારે પણ એક સપનું છે ફિલ્મમાં યુવરાજ પોતે અભિનય કરશે અને જેની સ્ક્રિપ્ટ અને નિર્દેશક હાલ અમેરિકામાં સ્થાયી થયેલા સુરેશ્વરસિંહ ગોહિલ કરશે. મુલાકાતના અંતે તેમણે કહ્યું કે, સજાતીય સંબંધ ધરાવનારાઓને કાનૂની માન્યતા મળે અને સમાજ દ્રષ્ટિકોણ બદલે તે માટે પ્રયાસો કરવાના થઇ રહ્યાં છે.
સાથે દેશમાં એચઆઇવી એઇડસના દર્દીની સંખ્યા વધી રહી છે, તે દિશામાં પણ કામગીરી કરવામાં આવી રહી છે. રાજા રજવાડા વિશે વાતો કરતા કહ્યું કે, વાપીમાં યોજાનારા વૈદિક લગ્ન એ જુની પરંપરાને જાગૃત કરવાનો પ્રયાસ છે.