પાલિકાની કારોબારી સમિતિની રચનાના મુદ્દે ઉઠેલો વિવાદ કલેક્ટરની કોર્ટમાં લઇ જવાયા બાદ આ પ્રકરણમાં કલેક્ટર નલીન ઠાકરે અગાઉની બંને સભાની કાર્યવાહીને લીલીઝંડી આપી બહાલ રાખતા શાસક પક્ષ ભાજપમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી.
૨૩મી જૂનના રોજ મળેલી પાલિકાની સભામાં કારોબારી સમિતિની ચૂંટણી માટે મતદાન થયુ હતુ. જેમાં બળવાખોર જૂથને ૨૧ અને શાસક પક્ષને ૧૭ સભ્યોનું સમર્થન મળ્યુ હતુ.
પરંતુ બળવાખોર જૂથની દરખાસ્તમાં સભ્યોના નામના ડુપ્લિકેશનને લઇ તેમની દરખાસ્ત રદ થવાને પાત્ર ગણાવી રાજુ દેસાઇની દરખાસ્ત મંજૂર કર્યા બાદ પ્રમુખે શાસક પક્ષના સભ્ય સોનલ સોલંકીને કારોબારી ચેરમેન તરીકે ચૂંટાયેલા જાહેર કર્યા હતા. જ્યારે બહુમતિ મેળવનાર જગદીશ રાણાની રમેશ પટેલે મૂકેલી દરખાસ્ત રદ કરી દેતા મામલો કલેક્ટર સમક્ષ પહોંચ્યો હતો.
દરમિયાન ૧૯ જુલાઇએ મળેલી સભામાં બળવાખોર જૂથના આઠ સભ્યોના ટેકાથી શાસક પક્ષે ૨૩મી જૂનની સભાની કાર્યવાહી રદ કરી નવેસરથી કારોબારી સહિત ૧૨ સમિતિ અને તેના ચેરમેનો ૨૭ સભ્યોની બહુમતિથી નિયુકિત કરી હતી. આ કાર્યવાહીને પણ બળવાખોર જૂથે કલેક્ટર નલીન ઠાકર સમક્ષ ગેરકાયદે કાર્યવાહી રદ કરવા તેમજ કન્ટેમ્પ ઓફ કોર્ટની અરજી દાખલ કરતા વિવાદ વકર્યો હતો.
આ પ્રકરણમાં ચીફ ઓફિસર જીગર પટેલે બંને સભાની કાર્યવાહી પાલિકા અધિનિયમ હેઠળ સુસંગત ન હોવાનુ જણાવી કલેક્ટર સમક્ષ પાલિકા અધિનિયમ ૨૫૮ હેઠળ આ ઠરાવો રિવ્યુમાં લેવા અરજી કરવામાં આવી હતી.
જેની સુનાવણી ગત સપ્તાહે સંપન્ન થયા બાદ કલેક્ટરે ૨૩ જૂનના રોજ મળેલી સામાન્ય સભાની કાર્યવાહીને ૧૯ જુલાઇના રોજની સભાની કાર્યવાહી દ્વારા સુધારી લેવામાં આવી હોવાનુ તારણ કાઢી કારોબારી સમિતિ સહિતની વિવિધ સમિતિઓની રચના અંગેની કાર્યવાહીને બહાલી આપતો હુકમ કર્યો હતો. શુક્રવારે મળેલી સભામાં આ કાર્યવાહી બહુમતિથી મંજૂર કરી શાસક પક્ષે ફટાકડા ફોડી વિજયોત્સવની લાગણી વ્યક્ત કરી હતી.