ઝઘડિયા વિસ્તારમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારા ઝુંબેશની કામગીરીની ચકાસણી માટે ગુજરાત ચૂંટણી પંચના ઓર્બ્ઝવર બી.બી.સ્વેને ઝઘડિયા તાલુકાના ગામડાઓની મુલાકાત લીધી હતી.
મતદારોને યેનકેન પ્રકારે કોઈ પણ સમસ્યાઓનો સામનો કરવો ન પડે તે માટે સરકારે મતદાર યાદી સુધારા ઝુંબેશ હાથ ધરી છે. જેમાં મતદાર યાદીમાં મતદારોના નામ, સરનામા, જન્મ તારીખ સહિતની ક્ષતિઓને દૂર કરવા સાથે ચૂંટણીકાર્ડમાં રહેલી ખામીઓને સુધારી નવા કાર્ડ આપવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ભરૂચ - નર્મદા જિલ્લાના ઓર્બ્ઝવર તરીકે નિમાયેલાં ચૂંટણીપંચના બી.બી.સ્વેને ઝઘડિયા તાલુકાની મુલાકાત લીધી હતી.
ભરૂચ જિલ્લા સમાહર્તા રૂપવંતસિંગ નાયબ ચૂંટણી અધિકારી, ઝઘડિયા પ્રાંત અધિકારી આઈ.જે.માળી, ઝઘડિયા મામલતદાર આઈ.જે.વસાવા સહિતના અધિકારીઓની ટીમ સાથે બી.બી.સ્વેને ઝઘડિયા તાલુકાના ગોવાલી, ઝઘડિયા, રાજપારડી તેમજ ઉમલ્લા સહિતના બૂથની મુલાકાત લઈ મતદારયાદી સુધારા ઝુંબેશ કામગીરીની સમીક્ષા કરી હતી.