ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીના પટમાંથી રેતીનું વહન કરતી ટ્રક માલિકો અને રાજપારડીના ગ્રામજનો વચ્ચે ટ્રકોની અવરજવર બાબતે ચાલી રહેલાં વિવાદનું કોઇ નિરાકરણ નહિ આવતાં છેલ્લા ત્રણ દિવસથી રેતીનું વહન કરતી ટ્રકોના પૈંડા થંભી જવાની સાથે ભારેલા અગ્નિ જેવો માહોલ પ્રવર્તી રહયો છે.
સમગ્ર વિવાદમાં રાજપારડીના વેપારીઓ પણ લડી લેવાના મૂડમાં હોવાનું જણાય છે. રાજપારડીથી ભાલોદ જવાના માર્ગ પરથી પસાર થતી રેતી ભરેલી ટ્રકોના મુદ્દે ટ્રક માલિકો અને રાજપારડીના ગ્રામજનો વચ્ચે ચાલી રહેલો વિવાદ વકરી રહયો છે. રાજપારડીના ગ્રામજનોની ફરિયાદ છે કે રેતી ભરેલી ટ્રકના ચાલકો તાડપત્રી ઢાંકતા નહિ હોવાથી રેતી લોકોના ઘરો અને દુકાનોમાં ઉડતી હોવાથી લોકોની હાલત કફોડી બની છે.
રોજની પ૦૦થી વધારે ટ્રકો પસાર થતી હોવાથી રસ્તો બિસમાર બની જતાં રાજપારડીથી ભાલોદ સુધીના પટ્ટા ઉપર આવેલાં ગામોના લોકોને અવરજવરમાં ભારે તકલીફ પડી રહી છે. ગામોમાં એસટી બસ તથા એમ્બ્યુલન્સ પણ આવી શકતી નહિ હોવાની બુમો ઉઠી છે. રેતી ભરેલી ટ્રકોને રાજપારડી ગામમાંથી પસાર થતી અટકાવવા માટે તંત્રને ગામલોકોએ કરેલી રજૂઆતના નક્કર પરિણામ નહિ મળતાં આખરે ગામલોકોએ ટ્રકોને અટકાવી વિરોધ પ્રદર્શિતત કર્યો હતો.
ટ્રક માલિકોએ શુક્રવારે ઝઘડિયા મામલતદારને સુપરત કરેલાં આવેદનપત્રમાં આરોપ લગાવ્યો હતો કે, રાજપારડી ગ્રા.પં.ના સરપંચ અને સભ્યો ટ્રકચાલકો પાસેથી ગેરકાયદે હપ્તાની માંગણી કરી રહયાં છે. ટ્રકમાલિકોની રજૂઆત છે કે, તેમણે સરકારમાં મોટી રકમ ચુકવી રેતીની લીઝ મેળવી છે. ટ્રકનો રોડ ટેક્સ પણ સરકારમાં ચુકવે છે.
રાજપારડીના લોકોની હેરાનગતિના વિરોધમાં ટ્રકચાલકોને રક્ષણ આપવાની પણ માગ આવેદનપત્રમાં કરવામાં આવી છે. આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે રાજપારડીમાં ભારેલા અગ્નિ જેવો માહોલ પ્રવર્તી રહયો છે. ગામ લોકોના ડરે ટ્રકચાલકો પસાર થતાં ખચકાટ અનુભવી રહયાં હોવાથી પંથકમાં ટ્રકોની અવરજવર અટકી ગઇ છે. ગામલોકો અને ટ્રકમાલિકો વચ્ચે ચાલી રહેલાં ગજગ્રાહને ઉકેલવા માટે તંત્રના પ્રયાસો બિન અસરકારક સાબિત થતા રાજપારડીના વેપારી એસો.તથા આગેવાનોએ આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની તૈયારી કરી છે