વિવાદી સભાની કાર્યવાહી તથા આગામી સભા રદ કરવા બળવાખોર જૂથની કલેક્ટર સમક્ષ ગુહાર
વિવાદોમાં ઘેરાયેલી વલસાડ પાલિકાના સત્તાલક્ષી રાજકારણમાં શામ,દામ અને દંડની નીતિથી શાસક પક્ષ ભાજપે કોંગ્રેસના સાત સભ્યોને ખોળે બેસાડી દેતા મામલો પ્રદેશ સુધી પહોંચ્યો છે. ત્યારે બીજીતરફ અધિનિયમ વિરૂદ્ધ સભા બોલાવવાનો વધુ એક વિવાદ સપાટી ઉપર આવ્યો છે. બળવાખોર જૂથે ૧૯મીની અને આગામી ૩૦મી જુલાઇએ બોલાવેલી બંને સભા નિયમ વિરૂદ્ધ હોવાનો મુદ્દો ઉપાડી આ સભાઓ રદ કરવાની ગુહાર કલેક્ટર સમક્ષ કરી છે.
૨૩મી જૂનની વિવાદી સામાન્ય સભાનો ખટલો કલેક્ટર સમક્ષ ચાલી રહ્યો હોવા છતાં ૧૯મી જુલાઇએ પ્રમુખે ફરીથી ગેરકાયદે સભા બોલાવી સમિતિઓની રચના કરી દેતા બળવાખોર જૂથે આ સભાની કાર્યવાહી રદ કરવાનો આ મુદ્દો પાલિકા અધિનિયમ ૨૫૮ હેઠળ કલેક્ટર સમક્ષ રિવ્યુમાં લઇ જવાની માગ કરી છે.
આ સભાના એજન્ડા પણ નિયમ અનુસાર ત્રણ દિવસની ચોખ્ખી મર્યાદા આપ્યા વિના જારી કરી માત્ર નોટીસ બોર્ડ પર સૂચના આપી દેવાનું પગલું ગેરકાયદે હોવાનું જણાવાયું છે. ૨૩મી જૂને બળવાખોર જૂથની કારોબારી સમિતિ રચાઇ હોવા છતાં તેમના અધિકાર છીનવી લેવાયો હોવાની પણ હૈયાવરાળ ઠાલવવામાં આવી છે.
આગામી ૩૦મી જુલાઇના રોજ પ્રમુખે બોલાવેલી સામાન્ય સભાના એજન્ડામાં ૧૯મી જુલાઇની વિવાદી બનેલી સામાન્ય સભામાં રચાયેલી સમિતિઓની રચનાના કામને બહાલી આપવાનુ કામ લેવાયું છે પરંતુ બળવાખોર જૂથે શાસક પક્ષના આ પગલાને ગેરકાયદે ગણાવી કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા આ સભા પણ રદ કરવાની માગ કરી છે.
વિવાદી સભાના મુદ્દે બળવાખોર જૂથના સભ્ય જગદીશ રાણાએ શહેરી વિકાસ વિભાગના અધિક સચિવ, પાલિકા નિયામક ગાંધીનગર, ચીફ ઓફિસર અને કલેક્ટરને કાયદા વિરૂદ્ધની સામાન્ય સભાના મુદ્દે પગલાં ભરવાની રાવ કરી છે.
વલસાડ પાલિકા હદમાં અબ્રામાના વિવિધ માર્ગોની બદતર હાલતથી ત્રસ્ત ગ્રામજનોએ પાલિકા કચેરી ઉપર મોરચો માંડી માર્ગ નવિનીકરણની માગ કરી હતી. અહીં અનેક નાના મોટા ઉદ્યોગ પણ કાર્યરત છે. ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર તરફ જતા માર્ગ ઉપર ઠેરઠેર ખાડાઓ પડી જતા વાહનચાલકો અને રાહદારીઓ માટે પસાર થવુ દુષ્કર થઇ રહ્યુ છે.
તદ્દઉપરાંત ગામના અનેક રસ્તાઓ બિસ્માર બનતા આ સમસ્યાથી વાજ આવી ગયેલા ઉદ્યોગપતિઓએ સોરઠીયા આહિર સમાજના પ્રમુખ ડાહ્યા આહિર, ઉપપ્રમુખ દેવા આહિરને રજૂઆત કરતા તેમણે ગ્રામજનો સાથે પાલિકા કચેરીએ મોરચો માંડ્યો હતો. સીઓ જીગર પટેલને લેખિત રજૂઆત કરી આ સમસ્યાના ત્વરીત ઉકેલ માટે માગ કરી હતી. શહેરી વિકાસ મંત્રી નીતિન પટેલને પણ રજૂઆત કરી હતી. ૧૫ દિવસમાં રસ્તો પાકો બનાવવામાં નહીં આવે તો વેરા નહીં ભરવાની ચિમકી આપી હતી.