સુરતમાં ગરીબો માટે બનાવાયેલાં આવાસોની ભૂલભરેલી ડિઝાઈનના લીધે તાજેતરમાં જહાંગીરપુરાનાં આવાસ ખાતે ત્રણ માસૂમ મોતને ભેટ્યાં છે જ્યારે અન્ય એક બાળકને ગંભીર ઇજા પહોંચી છે.
આ આવાસના ધાબા પર આજુબાજુની દીવાલના અભાવે બાળકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે, ત્યારે પાલિકા કહે છે કે અગાશી પર નહીં જવાની શરત મૂકવામાં આવી છે
સુરતના જહાંગીરપુરા નજીક ગરીબોને ફાળવાયેલા આવાસોની ભૂલભરેલી ડિઝાઈનના કારણે છેલ્લાં એક વર્ષમાં ત્રણ માસૂમ મોતને ભેટ્યા હતા જ્યારે અન્ય એક બાળકને ગંભીર ઇજા થઈ છે. આ આવાસોમાં ધાબા (ટેરેસ) પર પ્રોટેકશન વોલના અભાવે ક્વાર્ટરના રહીશો પારેવાની જેમ ફફડી રહ્યા છે. મહાનગરપાલિકાએ જ આ આવાસોની ડિઝાઈન તૈયાર કરી હતી.
જોકે પાલિકાના અધિકારી બચાવમાં કહે છે કે ગ્રાન્ટ ઓછી મળી હોવાથી આ પ્રકારની ડિઝાઈન તૈયાર કરાઈ હતી. શહેરના જુદા-જુદા ૨૦ સ્થળે નિર્માણાધીન મોટાભાગના ક્વાર્ટર્સમાં આ પ્રકારની ભૂલના કારણે ગરીબોમાં રોષ વ્યાપી ગયો છે.
આ મામલે વહીવટી તંત્રને અનેક વાર ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. હદ તો ત્યારે થાય છે કે હજી પણ આવી ભૂલભરેલી ડિઝાઇન મુજબ આવાસો બની રહ્યા છે.
- ગ્રાન્ટ ઓછી મળી હોવાથી દીવાલ ન બનાવી શકાઈ
શરૂઆતમાં કેન્દ્ર સરકારે જેએનએનયુઆરએમ યોજના હેઠળ પ્રથમ ગ્રાન્ટ ઓછી આપી હતી જેને કારણે ડીપીઆર-૧ હેઠળની સ્કીમ મુજબ બનાવાયેલા ૭૦૦૦ ઇડબલ્યુએસ અને બીએસયુપી આવાસોની ડિઝાઈન પાલિકાએ જ તૈયાર કરી હતી. ઓછી રકમને લીધે પ્રોટેકશન વોલ બનાવી શકાઇ ન હતી. આ આવાસો ફાળવાયા ત્યારે શરત મૂકવામાં આવી હતી કે માત્ર પાણીની ટાંકીની સાફસફાઇ માટે અગાશીનો ઉપયોગ કરી શકાશે. હવે જો તેમને કોઇ પ્રકારની મુશ્કેલી હોય તો તેનું નિવારણ કરવા માટે તેઓ ક્વાર્ટર દીઠ એસોસિયેશન ઊભું કરીને સ્વખર્ચે વોલ બનાવી શકે છે. આ મુદ્દે પાલિકા કંઇ ન કરી શકે.- ડી.એમ. પટેલ, કાર્યપાલક ઇજનેર, સ્લમ અપગ્રેડેશન સેલ
- ઘર સાથે માસૂમોનાં મોત મફત
- અમને અમારાં ઝૂંપડાં પાછાં આપો
છત પર દીવાલ બની જવી જોઇએ, જેથી અમારી સાથે થયું એવું બીજા સાથે ન થાય. આવી રીતે લાડકો પુત્ર ગુમાવવાનો શોક શું હોય છે તે અમારૂ હૃદય જ જાણે છે. જો દીવાલ ન બનાવી શકાય તો અમને અમારા ઝૂંપડાં પાછાં આપી દો. - કે. સહાની, મૃતક વિશાલના કાકા
- હવે હું ધાબા પર નહીં જાવ
વિશાલ એમ તો એકલો જ અગાશી પર ફરતો હતો પરંતુ તેના અચાનક મોત પછી હું ધાબા પર નહીં જાવ. હવે મને અગાશી જોતા વિશાલ જ યાદ આવે છે. આવતી મકરસંક્રાતિના દિવસે હું અહીં નહીં રહું.- મનીષ પલ્ટન સહાની, ઉવ ૧૦, મૃતક વિશાલના કાકાનો પુત્ર
- લોખંડની જાળી તો મૂકો
ઇંટોનું ચણતર નહીં તો ચાલશે પરંતુ લોખંડની અઢી ફૂટની જાળી પણ ફિટ કરી દેવાય તો ક્વાર્ટરના બાળકો તથા રહીશો સુરક્ષિત રહી શકે. હવે અમારે આ આવાસોમાં રહેવું જ નથી. આના કરતા તો અમે ઝૂંપડાઓમાં વધુ સુરક્ષિત હતા. -યુસુફ ભાટી, સ્થાનિક
- અધિકાર પર તરાપ
એપાર્ટમેન્ટ કે ક્વાર્ટર્સમાં રહેતાં સભ્યોને અગાશી વાપરવાનો અબાધિત અધિકાર છે. તેને કોઈ પણ છીનવી ન શકે. પાલિકાએ આવાસો ફાળવતી વખતે શરત મૂકીને ધાબું વાપરવાનો અધિકાર છીનવી લીધો છે.
- દોષિત કોણ?
પાલિકાએ આ આવાસની ખામીભરી ડિઝાઈન તૈયાર કરી હતી. પાલિકા બચાવમાં કહે છે કે જેએનએનયુઆરએમ હેઠળ ઓછી ગ્રાન્ટ આપવામાં આવી હોવાથી ઓછા ખર્ચે આવાસો તૈયાર કરવા પડ્યા હતા.
- શું સજા થઈ શકે?
આ પ્રકારની લાપરવાહી બદલ આઇપીસીની કલમ ૩૦૪ (અ) હેઠળ ફરિયાદ નોંધાવી શકાય છે. આ કેસમાં ઓછામાં ઓછી બે વર્ષ સજાની જોગવાઈ છે. કોઈના મોત માટે સીધા જવાબદાર ન હોય પરંતુ બેદરકારીના લીધે કોઈ મૃત્યુ પામે તો જવાબદાર સામે આ કલમ હેઠળ કાર્યવાહી કરી શકાય છે.
- ૨૦ આવાસ ભૂલભરેલાં બન્યાં
બીએસયુપી હેઠળ ૨૦ જગ્યાએ આ રીતે ભૂલભરેલી ડિઝાઈનવાળા આવાસ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાંના મોટા ભાગના જોખમી છે.