વલસાડ જિલ્લામાં ધરમપુર, વાપી, સંઘપ્રદેશ, ઉમરગામ, ભીલાડ તથા સરીગામમાં છેલ્લા ૧૦ દિવસથી તાપમાનનો પારો સ્થિર રહેવા સાથે છૂટા છવાયા વાદળો આકાશમાં છવાઇ રહ્યા હતા, પરંતુ સોમવારે હવામાનમાં અચાનક ગંભીર પલટો આવતા આખો દિવસ આકાશમાં વાદળછાયુ રહ્યુ હતુ. ગરમાટો અને બફારાયુક્ત સ્થિતિ વચ્ચે માવઠુ કે કમોસમી વરસાદની દહેશત વર્તાતા ખેડૂત વર્ગમાં ભારે ચિંતાનો માહોલ પ્રવર્તી ગયો છે ખાસ કરીને કેરીના પાકને પ્રતિકુળ હવામાનની થનારી અસરને લઇ આંબાવાડી ધરાવતા ખેડૂતોના માથે મુશ્કેલીના વાદળો ઘેરાયા છે.
વલસાડમાં આજે આખો દિવસ સુર્યનારાયણ પણ વાદળો પાછળ ઢંકાયેલા રહ્યા હતા. તાપમાનનો પારો ૩૩.૦૭ ડીગ્રી સેલ્સિયસ રહેવા સાથે પવનની ગતિમાંપણ ધટાડો નોંધાયો હતો પ્રતિ કલાક ૧૦ કિ.મી. પવનની ઝડપ અને ૭૯ ટકા જેટલુ ભેજનું પ્રમાણ રહેતા બફારો અને ઉકળાટની સ્થિતિમાં લોકોએ ભારે બેચેની અનુભવી હતી.
હવાનું દબાણ પણ ૧૦૧૧.૦૭ મિલીબાર રહેતાં વધુ ઉકળાટ અનુભવ્યો હતો.આકાશ વાદળ છાયુ રહેતાં કમોસમી વરસાદના સંજોગો ઉભા થતાં કેરી પકવતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ ઉભો થયો છે. માત્ર ૨૫ ટકા કેરીનો પાક આ વર્ષે થતાં ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે .
સાપુતારામાં વરસાદી છાંટા
સાપુતારા : ડાંગમાં આજે ચારેકોર વાદળછાયુ વાતાવરણ હોવાથી બફારો સહન કરવો પડ્યો હતો. જ્યારે ગિરિમથક સાપુતારામાં સવારથી જ ધૂમ્મસ દેખાતું હતું અને ત્યારબાદ સમગ્ર વિસ્તાર વાદળોથી ઢંકાઈ ગયો હતો. બપોર બાદ સમગ્ર ડાંગ તથા વાંસદામાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું હતું. ઠેક ઠેકાણે પાણીના છાંટા પડ્યા હતા. સાપુતારામાં પાણીના ઝરમર છાંટા પડવાથી વાતાવરણ વધુ શીતળ અને ઠંડુ બની ગયું હતું. સાંજ સુધી ડાંગ-વાંસદા તથા આસપાસનો સમગ્ર વિસ્તારમાં આકાશ વાદળથી છવાયેલું રહ્યું હતું.