ન્યાયધીશ પ્રેમજી ગોહિલને બે વર્ષની સખત કેદની સજાના હુકમને આવકારતા જિલ્લાના ધારાશાસ્ત્રીઓ
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ફરજ બજાવી ચુકેલા ન્યાયધીશ પ્રેમજી ગોહિલને અમદાવાદની રૂરલ કોર્ટના એડશિનલ સેશન્સ જજ વી.કે.વ્યાસે બે વર્ષની સખત કેદની સજા ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ કેસના મૂળીયા વલસાડમાં વર્ષ ૨૦૦૨ની સાલમાં દટાયા હતા. વલસાડ અને પારડીના બાર એસોસીએશનના હોદ્દેદારો અને વકીલ સભ્યો આ ન્યાયધીશ સામે ૩૭ દિવસ સુધી હડતાળ ઉપર ઉતર્યા હતા. ગોહિલને થયેલી સજાના હુકમને વલસાડ જિલ્લાના વકીલ આલમે આવકાર્યો છે.
વલસાડના પારડી તાલુકામાં તે સમયે જેએમએફસી તરીકે ફરજ બજાવતા પ્રેમજી ગોહિલ વિરૂદ્ધ બાર કાઉન્સિલ તથા વકીલો દ્વારા ફરિયાદ ઉઠી હતી. વર્ષ ૨૦૦૨ની સાલમાં વલસાડ ખાતેથી ન્યાયધીશ પ્રેમજી ગોહિલની સામે તપાસના બીજ રોપાયા હતા. તે સમયે વલસાડ બાર એસોસીએશના પ્રમુખ વસંત પટેલ, સેક્રેટરી રસીદ શેખ અને પારડીના એડવોકેટ પી.વી.શાહે ન્યાયધીશ ગોહિલને વલસાડ જિલ્લામાંથી દૂર કરવા હાઇકોર્ટમાં ફરિયાદ કરી હતી. ત્યાર બાદ હાઇ કોર્ટના વિજિલન્સ ઓફિસર લીલાબેન ત્રિવેદીને રૂબરૂમાં ફરિયાદ કરી પ્રેમજી ગોહિલ સામે રજુઆતો કરી હતી. ત્યારથી આ ન્યાયધીશ સામે તપાસ હાથ ધરાઇ હતી.
ઉદ્યોગપતિઓ વિરૂદ્ધ વોરંટ કાઢી જેલમાં મોકલવાની નીતિ અપનાવી હતી
વાપીના ઉદ્યોગપતિઓએ પોલ્યુશન અટકાવવા માટે વોટર પ્યુરેશન પ્લાન્ટ નાંખવાની ખાત્રી મુખ્યમંત્રીને આપતા તેઓ સામે થયેલા કેસ પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. દરમિયાન પારડીમાં જજ તરીકે પ્રેમજી ગોહિલની નિમણૂંક થઇ હતી. તેમણે આ તમામ પેન્ડગિ કેસો બોર્ડ ઉપર લીધા હતા. ઉદ્યોગપતિઓ વિરૂદ્ધ વોરંટ કાઢી જેલમાં મોકલી આપવાની નીતિ અપનાવી હતી. જે પૈકી એક ઉદ્યોગપતિના ૭૫થી ૮૦ વર્ષીય માતા-પિતાને પણ જેલમાં મૂકી દીધા હતા. વિજિલન્સ અધિકારી વલસાડમાં તપાસઅર્થે આવ્યા હતા. ત્યારે આ ઉદ્યોગપતિએ સર્કિટ હાઉસ ખાતે રૂબરૂ રજુઆત કરી હતી. જે મહત્વના પૂરાવા ગણાયા હતા. વસંતભાઈ પટેલ, માજી પ્રમુખ, વલસાડ બાર એસોસિએશન
આ ચુકાદો ન્યાયતંત્રમાં વિશ્વાસ બેસાડનારો છે
ન્યાયધીશ પ્રેમજી ગોહિલને થયેલી સજાએ ન્યાય તંત્રમાં એક ઘડો બેસાડનારો ચુકાદો છે. આ ચુકાદાથી ન્યાયધીશો પણ સ્તબ્ધ થઇ ગયા છે. અમદાવાદની રૂરલ કોર્ટના એડશિનલ સેશન્સ જજ વી.કે.વ્યાસે પ્રેમજી ગોહિલ વિરૂદ્ધ પૂરાવા મળતા તેમને સજા થઇ. જોકે ગોહિલ સામેની લડતના બીજ વલસાડથી રોપાયા હતા.
રાજુભાઈ દેસાઈ, ચેરમેન, વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળ
આ ચુકાદાથી ન્યાય પ્રણાલિકામાં પ્રજાનો વિશ્વાસ જળવાઈ રહેશે
અમદાવાદની રૂરલ કોર્ટે આપેલો ચુકાદો આવકારદાયક છે. આ ચુકાદાથી ન્યાય પ્રણાલિકામાં લોકોનો વિશ્વાસ જળવાય રહેશે. જેના થકી ન્યાયધીશોમાં પણ પારદિર્શતા આવશે. પ્રજા ન્યાયાલયને ન્યાય મંદિર તરીકે સ્વીકારે છે. એવા સમયે ભગવાન પાસે જે અપેક્ષા રાખે છે. તે અપેક્ષા ન્યાયધીશો પાસે રાખે છે. પ્રેમજી ગોહિલ ન્યાયધીશ તરીકે પારડી અને વલસાડમાં હતા ત્યારે તેમની સામે વકીલોએ બંડ પોકારી હડતાળ કરી હતી. પી.ડી. પટેલ, પ્રમુખ, વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળ