સ્થાનિકોનો બસ ઉપર પથ્થરમારો બસના ડ્રાઈવરને માર માર્યો
નવસારીના સિંધી કેમ્પમાંથી ઔરંગાબાદ નજીક ગયેલ લકઝરી બસનો રિક્ષા સાથે અકસ્માત થયો હતો. અકસમાતને કારણે સ્થાનિક રહીશો ઉશ્કેરાતા બસ ઉપર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ ડ્રાઈવર બસમાંતી બહાર કાઢી માર માર્યો હતો. આ અંગે પોલીસને બોલાવાતા બસને કબજે લઈ મુસાફરોને અન્ય બસ ભાડે કરી નવસારી આવવા રવાના થયા હતા.
મહારાષ્ટ્રના ઔરંગાબાદ-નાંદેડથી થોડે દુર આવેલ હજુરસાહેબ સિંધીઓ માટે પવિત્ર યાત્રા સ્થળ છે. આ પવિત્ર સ્થળે દર્શન કરવા નવસારીના સિંધી કેમ્પમાંથી બે લકઝરી બસમાં મોટીસંક્યામાં સિંધીઓ ગયા હતા. શુક્રવારે આ બેમાંની એક લકઝરી ઔરંગાબાદ નજીક હાઈવે ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે એક રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ત્રણ જણાને ગંભીર ઈજા થઈ હતી. આ સમયે સ્થાનિક રહીશો એકત્રિત થઈ ગયા હતા. આક્રોશિત સ્થાનિક રહેવાસીઓએ પથ્થરમારો કરી લકઝરી બસને નુકસાન પહોંચાડ્યું હતું તથા બસના ડ્રાઈવરને માર માર્યો હતો.
અકસ્માતને લઈ સ્થાનિક પોલીસે બસને કબજે લીધી હતી તથા ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સ્થાનિક દવાખાનામાં સારવાર અર્થે દાખલ થવાની ફરજ પડી હતી. આ અંગે નવસારી સિંધી કેમ્પ સ્થિત મુકેશભાઈ મહારાજના જણાવ્યા મુજબ અકસ્માતગ્રસ્ત લકઝરી બસમાં સવાર નવસારીના સિંધી ભાઈ-બહેનો સહીસલામત છે અને અન્ય એક બસ ભાડે કરી નવસારી આવવા રવાના પણ થઈ ગયા છે.