નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ચોમાસાની બદલાયેલી પેટર્ન જોતાં છેક ઓક્ટોબર માસ સુધી વરસાદ વરસવાની શક્યતા છે. માત્ર સપ્ટેમ્બર માસની જો વાત કરીએ તો હજી એક-બે નહીં ત્રણ સિસ્ટમ દક્ષિણ ગુજરાત પર વરસાદ લાવે તેવી સંભાવના છે
તાજેતરમાં જ શહેર પરથી અતિભારે વરસાદની ઘાત ટળી છે, પરંતુ હવામાન વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે હજી પણ બંગાળની ખાડી પરથી ડિપ્રેશનની વધુ એક સિસ્ટમ તૈયાર થઈ છે, જે આગામી પાંચેક દિવસમાં શહેર કે દક્ષિણ ગુજરાત પર વરસી શકે છે. અલબત્ત, આ સિસ્ટમના કારણે આભ ફાટવાની કે અતિભારે વરસાદ જેવી કોઈ શક્યતા જણાતી નથી.
પર્યાવરણ વિશેષજ્ઞ ડૉ. જયેશ નાયકે જણાવ્યા પ્રમાણે પ્રતિવર્ષ શહેર કે દક્ષિણ ગુજરાત પર નૈઋત્યનો વરસાદ આવે છે. તેની સામે આ વખતે મહત્તમ વરસાદ પૂર્વ દિશામાં બંગાળની ખાડી પરથી આવેલી સિસ્ટમ્સ દ્વારા જ થયો હોવાનું જણાયું છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં ૧૨૦ ટકા જેટલો તથા ઉત્તર ગુજરાતમાં ૮૦ ટકાથી વધારે વરસાદ થયો છે.
દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ૬૦ ટકા જેટલો પણ વરસાદ થયો નથી. વળી, દક્ષિણ ગુજરાતમાં પીક મોન્સૂન ગણાતા જુલાઈ માસ દરમિયાન સામાન્ય રીતે પ્રતિવર્ષ ૬થી ૭ સિસ્ટમ્સ વરસાદ લાવે છે, તેની સામે આ વર્ષે હજી માંડ ચાર સિસ્ટમ જ વરસી ચૂકી છે, જેમાં છેલ્લી સિસ્ટમે દક્ષિણ ગુજરાતના નવસારી જેવા કેટલાક વિસ્તારોમાં ૯થી ૧૧ ઇંચ વરસાદ પણ આપ્યો છે.
આમ હજી દક્ષિણ ગુજરાત માટે ચોમાસું વીતી ગયું છે કે નબળું થઈ ગયું છે કહી શકાય નહીં, કારણ કે સરેરાશ જોતાં હજી ત્રણેક સિસ્ટમ આવવાની બાકી છે. આ તો એક અનુકૂળ વરસાદની વાત થઈ. હવે જો પ્રતિકૂળ કે નડતરરૂપ વરસાદની વાત કરીએ તો આગામી દિવસોમાં બંગાળની ખાડી પરની નવી સિસ્ટમ આવવાની શક્યતા જોવાઈ રહી છે ત્યારે તેને દૂર કરવા માટે પવન-તાપમાન-દબાણ-ભેજ તથા ઓફ શોર ટફe જેવાં પરબિળો અત્યંત મહત્વનો ભાગ ભજવશે.
રાત્રે બફારાને બદલે ઠંડક
શહેરના તાપમાનમાં પણ મોટો ફેરફાર આવી રહ્યો છે. મંગળવાર રાતથી અચાનક તાપમાન ઘટી ગયું હતું અને પવનની ગતિ પણ વધી ગઈ હતી. છેલ્લા બે અઠવાડિયાનાં ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો ૨૨ ઓગસ્ટે ન્યૂનતમ તાપમાન ૨૭.૩ ડિગ્રી સે. હતું. તે પછીના એક અઠવાડિયામાં ન્યૂનતમ તાપમાનમાં લગભગ એક ડિગ્રી સે.નો ઘટાડો નોંધાઈ ૨૬.૪ થયું હતું. મંગળવારે રાત્રે તો શહેરીજનોને થોડીક ઠંડકનો અહેસાસ થયો હતો, કારણ કે તાપમાન ઘટીને ૨૫ ડિગ્રી સે. જેટલું જ થઈ ગયું હતું. આમ, છેલ્લા પખવાડિયામાં ન્યૂનતમ તાપમાનમાં૨ ડિગ્રીનો ઘડાયો નોંધાયો હતો.
પર્યાવરણવિદ્ ડૉ. મહેશ દેસાઇએ કહ્યું હતું કે હવે મોન્સૂન માટે વળતા પાણીના પરિસ્થિતિ છે. લગભગ ૧૦ સપ્ટેમ્બર પછી તો વરસાદનું જોર ઘટી જ જશે. તે પછી ઠંડી પડવાની શરૂઆત થઇ જશે. જોકે, ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ નાના-મોટા ફેરફારો થવાની શક્યતા તો રહેલી જ છે.
૧ સપ્ટેમ્બરે ૧૧ કે ૨૩ ઇંચ નહીં પરંતુ ૫ મિ.મી. જ વરસાદ!
હવામાન ખાતાએ ૧ સપ્ટેમ્બર માટે કરેલી જુદી જુદી આગાહીઓમાં સુરત શહેર અને જિલ્લામાં ૧૧થી ૨૩ ઇંચ વરસાદ પડવાનો ભય વ્યક્ત કર્યો હતો. ૧ સપ્ટેમ્બરનો દિવસ હેમખેમ પસાર થઇ ગયો હતો અને વરસાદ માત્ર ૫ મિ.મી. જેટલો જ નોંધાયો હતો!
હવામાન ખાતું જણાવે છે કે આગામી પાંચ દિવસો દરમિયાન તાપીનદીના સંપૂર્ણ સ્ત્રાવ વિસ્તારમાં ક્યાંય ભારે વરસાદ નથી. આમ, પાંચ દિવસ તો કોઇ ખતરો નહીં હોવાનું લાગે છે, છતાં તંત્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને સતત સમીક્ષા બેઠકો કરાઈ રહી છે. કારણ કે સુરતના ઈતિહાસમાં સપ્ટેમ્બર મહિનામાં ત્રણ વાર પૂર આવી ચૂક્યાંનું પણ નોંધાયું છે.
હવામાન ખાતાની વેબસાઇટમાં દર્શાવ્યા મુજબ સુરત શહેર-જિલ્લામાં આગામી પાંચ દિવસોમાં એક ઇંચથી પણ ઓછો વરસાદ થશે. જો તાપીના સ્ત્રાવ ક્ષેત્રની વાત કરીએ તો ખાસ કરીને નાસિક, નંદુરબાર, ધૂલે, જલગાંવ અને મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશ સહિતના તમામ વિસ્તારોમાં ૩થી ૩૫ મિ.મી. એટલે કે વધુમાં વધુ ૧.૫ ઇંચ જેટલા જ વરસાદની સંભાવના આગામી પાંચ દિવસ માટે વ્યક્ત કરાઈ છે.
ઉકાઇમાંથી પાણી જેટલું ઇન તેટલું જ આઉટ
બુધવારે સાંજે સાત વાગ્યા સુધી ઉકાઇ જળાશયમાં પાણીનો આવરો ૫૧,૦૦૦ કયૂસેક્સ હતો અને તેટલું જ પાણી છોડી દેવામાં આવતું હતું. ૧ સપ્ટેમ્બરનું રૂલ લેવલ ૩૩૫ ફૂટ છે અને જળાશયમાં પાણીનું લેવલ ૩૩૪.૯૭ ફૂટ જાળવી રખાયું છે. આમ ઉકાઇને લાગે વળગે છે ત્યાં સુધી હાલ તો ‘આલ ઇઝ વેલ છે’. હથનૂર ડેમમાં પણ આવરો ૭૦ હજાર કયૂસેક્સનો છે અને તેટલું જ પાણી ત્યાંથી પણ છોડાઇ રહ્યું છે.