એક તરફ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, ઉકાઇથી સોમવારે મધરાતે બે લાખ ક્યુસેક્સ પાણી તાપીમાં છોડવું, ઉપરવાસમાં ભારે વર્ષા અને લોકોમાં પૂરની દહેશત હતી અને ત્યારે જ આગાહીના આગલા દિવસે કલેક્ટરે ઉકાઈમાંથી બે લાખ ક્યુસેક્સ પાણી છોડાવ્યું અને કહ્યું કે આ તો મોકડ્રિલ છે જ્યારે બીજી તરફ પાલિકા કમિશનરે કહ્યું કે અમને તો ફક્ત બે લાખ ક્યુસેક્સ પાણી છોડાશે એવો જ મેસેજ હતો એટલે અમે બચાવ કામગીરી માટે તૈયાર હતા.
હવે ખરી દ્વિધા અહીં જ ઊભી થાય છે કે પાણી છોડાયું તે મોકડ્રિલ હતી કે બચાવ કામગીરી મોકડ્રિલ હતી. અને જો ખરેખર બચાવ કામગીરી કરવાની જ હતી તો મોકડ્રિલ શબ્દનો ઉપયોગ કરવાની જરૂર જ શું પડી? આમાં પાણી સાચુકલું બેલાખ કયુસેક્સ હતું, સુરતના લાખો લોકોની જિંદગી સાચુકલી હતી, પરિસ્થિતી ખરેખર વિકટ હતી અને લોકોમાં વ્યાપ્ત દહેશત પણ સાચી હતી, તો મોક ડ્રીલ આવ્યું ક્યાંથી ?
આ પ્રશ્ન સુરતના લાખો લોકોની જિંદગીનો પ્રશ્ન બની રહે છે. કારણ કે, જો આભમાંથી આગાહી મુજબનું પાણી પડ્યું હોત અને ખરેખર સ્થિતિ રેલની સર્જાઇ હોત તો પાણીના પ્રશ્ને આ મોક ડ્રિલના નામે આગ સાથેની રમત માત્ર બનીને રહી ગઇ હોત. આ સિવાય પણ બચાવ કામગીરીનું રિહર્સલ કરવું જ હોત તો પાણી છોડવાનું ખરેખરું જોખમ ઉઠાવ્યા વિના પણ થઇ શક્યુ હોત અને લોકોમાં દહેશત ન ફેલાઇ હોત એ જુદી.
હવે જ્યારે સુરતે ૨૦૦૬ની દુખદ યાદોનો સામનો કરવો જ પડ્યો છે ત્યારો આ મામલે નકલી બચાવ કામગીરી સામે અસલી તપાસ કાર્યવાહીનો તંત્રોએ સામનો કરવાનો વખત આવ્યો છે. પાણી છોડવાના મુદ્દે શહેરીજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે તેનો પણ તંત્રે સામનો કરવો પડશે.
રાજ્ય સરકારને ફરિયાદ કરીશ
શહેરમાં ભારે વરસાદ હોય તેવા સંજોગોમાં મોકડ્રિલ ટાળી શકાયું હોત. કલેક્ટર અને કમિશનરે રાજ્ય સરકારને રજુઆત કરી હોત તો મોકડ્રિલ ટાળી શકાયું હોત. ઉકાઈના ઉપરવાસમાં અને શહેરમાં ભારે વરસાદની આગાહી હોય તેવા સમયે મોકડ્રિલ કરાતાં શહેરના લાખ્ખો લોકો ગભરાઈ અને હેબતાઈ જાય તે સ્વાભાવિક છે. આ મામલે સરકારી તંત્રોએ ગંભીર ગફલત કરી છે તેઓ રાજ્ય સરકારને ગંભીર ફરિયાદ કરશે. સી.આર. પાટીલ, સાંસદ
તપાસના આદેશ અપાશે
સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હોય તેવા સંજોગોમાં મોકડ્રિલ ટાળી શકાયું હોત. આમ કરવાથી લોકોમાં દહેશત ફેલાય છે. કમિ. અપર્ણા અને કલેક્ટર અશોક શાહને આ મામલે પૂછપરછ કરી તપાસના આદેશ અપાશે.
નીતિન પટેલ, શહેર વિકાસ મંત્રી
તંત્રે શહેરને બાનમાં લીધું
કમિશનર અપર્ણા મોકડ્રિલ કરીને શહેરને બાનમાં લઈ રહ્યાં છે. તેમણે ભાજપશાસકોને પણ અંધારામાં રાખ્યા હતા જે પુરવાર કરે છે કે શાસકોને કમિશનર ભાજી મૂળાં ગણે છે. શહેરને મોકડ્રિલના નામે બાનમાં લેનાર કમિશનર સામે કાર્યવાહી કરવી જોઇએ.
ભૂપેન્દ્ર સોલંકી, વિપક્ષી સભ્ય